PM Kisan Samman Nidhi Yojana : ખેડૂતોની આવક વધારવા સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ચલાવે છે. જેમાં ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકાર 11 હપ્તા મોકલી ચુકી છે. જ્યારે હવે 12મો હપ્તાની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન યોજનાનો લાભ લેવા પાત્ર ન હોય તેવા લોકોએ પણ લાભ ઉઠાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેની સામે સરકાર હવે કડક થઈ રહી છે અને નોટિસ મોકલીને પીએમ કિસાન યોજનાની પૈસા રિકવર કરી રહી છે.


ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં ઈન્કમ ટેક્સ ભરતા 5227 ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવ્યો છે. આ લાભાર્થીના ખાતામાં 4.32 કરોડ જમા થયા છે. જેમને રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી છે અને જો પરત નહીં કરવામાં આવે તો રેવન્યૂ કર્મચારીઓ દ્વારા વસૂલી કરવામાં આવશે.


અત્યાર સુધીમાં કિસાન સમ્માન નિધિની 33 લાખની રિકવરી કરવામાં આવી છે. જોકે હજુ ઘણા ખેડૂતો રકમ પરત આપવાની ના પાડી રહ્યા છે. આવા ખેડૂતો પાસેથી રિકવરી માટે વિભાગે નોટિસ જાહેર કરી છે અને જો પરત નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરાશે.


કોને મળે છે આ યોજનાનો લાભ


પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhanmantri Kisan Samman Nidhi Yojana) ગરીબ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માત્ર સીમાંત અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે. જો તમને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે અને કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો તે આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સાથે એક પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળશે.


આ રીતે ચેક કરો કે પૈસા પાછા આપવા પડશે કે નહીં


જે ખેડૂતોના ખાતામાં યોજનાના 11મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેઓ પીએમ કિસાન પોર્ટલની વેબસાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકે છે કે તેમણે પૈસા પરત કરવા પડશે કે નહીં. આ માટે સૌથી પહેલા તમારા પોર્ટલ પર જાઓ. આ પછી તમે ફાર્મર કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો.


અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો અને તમારો આધાર નંબર અને બેંક ખાતાની વિગતો ભરો. તે પછી તમારો મોબાઈલ નંબર નાખો. આ પછી, જો તમને You are not eligible for any refund amount મેસેજ જોવા મળે તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો Refund Amount લખેલો મેસેજ જોવા મળે તો તમે આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર નથી અને તમારે પૈસા પરત કરવાના રહેશે.