અમદાવાદઃ કસ્ટમના સુપ્રિટેન્ડન્ટે પત્ની સાથે સુભાષબ્રિજ પરથી કૂદીને કર્યા આપઘાત, જાણો શું હતું કારણ?

ચિમનલાલ ફુલવાણી (50 વર્ષ) ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેઈનપુર રોડ પર આવેલા ગણેશ હોમ્સમાં રહેતાં હતા. પત્ની લક્ષ્મીબેન ફુલવાણી (ઉ.વ. 48) સાથે એક્ટિવા લઈને નીકળ્યા હતા. સુભાષબ્રિજ પાસે તેમનું એક્ટિવા પડેલું હતું, તેના આધારે તપાસ કરતાં બંનેની લાશો નદીમાં તરતી જોવા મળી હતી. હાલ સમગ્ર મુદ્દે રિવરફ્રન્ટ પોલીસે ચિમનલાલના પરિવારને જાણ કરીને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.
અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને કસ્ટમના સુપ્રિટેન્ડન્ટ અને તેની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરી સાથે ઝઘડો થયા પછી મોડી રાત્રે પતિ-પત્ની ઘરેથી નીકળી ગયા હતા અને આઘાતમાં સરી પડેલા દંપતીએ સુભાષબ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.
ન્યૂ રાણીમ રહેતા કસ્ટમ અધિકારી ચિમનલાલ ફુલવાણીની દીકરી ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગઈ કાલે રાતે દીકરી સાથે મોડી રાત સુધી વાંચવાની વાતને લઈને તકરાર થઈ હતી. આ તકરાર બાદ પણ દીકરીએ માતા-પિતાની વાત ન માનતા લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.
ચિમનલાલ પત્ની લક્ષ્મીબેન સાથે રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા. આ દંપતીએ એક્ટિવા બ્રિજ પર જ રાખી દીધું હતું અને પછી આપઘાત કરી લીધો હતો. ત્યારે બિનવારસી હાલતમાં મળી આવેલા એક્ટિવાના આધારે તપાસ કરતાં નદીમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેમજ આ અંગે તપાસ કરતાં ઉપર પ્રમાણેની વિગતો સામે આવી હતી. નોંધનીય છે કે, ગઈ કાલે પણ એક યુગલે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.