સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશઃ બાળલગ્નના ગુનામાં પિતાના આગોતરા જામીન ફગાવ્યા

આરોપીએ સગીર વયના બાળકોના લગ્ન કરાવી ગંભીર ગુનો આચર્યો છે. આ પ્રકરણમાં શાહીબાગ પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, પોક્સો એકટ અને ઇપીકોની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે, ત્યારે ગુનાની ગંભીરતા જોતાં આરોપીને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. સરકારપક્ષ તરફથી કરાયેલી આ દલીલો માન્ય રાખી કોર્ટે આરોપી પિતાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
આ ગુનામાં આરોપી પિતા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાલના અરજદાર આરોપીએ ભોગ બનનાર કિશોરી સગીર વયની હોવાનું જાણવા છતાં તેના પોતાના સગીર વયના દીકરાના લગ્ન કરાવ્યા હતા. એટલું જ નહી, આરોપીના દીકરાએ ફરિયાદી ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
બાળલગ્ન કરાવવા એ અપરાધ અને ગંભીર ગુનો હોવાનું જાણવા છતાં આ ગંભીર ગુનો આચર્યો હોઇ આરોપીને આગોતરા જામીન આપવાનો સેશન્સ કોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ કેસની વિગત એવી છે કે, શહેરના રાણીપ વિસ્તારમાં ખેંગારજીની ચાલી ખાતે રહેતા આરોપી ચમનાજી ઠાકોરે પોતાનો દીકરો સગીર વયનો હોવા છતાં શાહીબાગ વિસ્તારમાં રહેતી સગીર વયની કિશોરી સાથે તેના લગ્ન કરાવી દીધા હતા.
લગ્ન બાદ સગીર વયના દીકરાએ ભોગ બનનાર તરૂણી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં પિયર આવ્યા બાદ તરૂણીએ સાસરે જવાની ના પાડી પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં શાહીબાગ પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદઃ સગીર પુત્ર હોવા છતાં તેના લગ્ન સગીર વયની તરૂણી સાથે કરાવી ગેરકાયદે રીતે બાળલગ્ન કરાવવાના ગુનામાં પકડાયેલા આરોપી પિતા ચમનાજી સુરાજી ઠાકોરની આગોતરા જામીનઅરજી અમદાવાદના એડિશનલ સેશન્સ જજ પૂનમ બી.સિંઘે વલણ સાથે ફગાવી દીધી હતી.