ફિક્સ વેતન મુદ્દે નવી સમસ્યાઃ સરકાર સમક્ષ કરાઈ શું રજૂઆત? જાણો
ગાંધીનગરઃ ફિક્સપગારદારોના વેતનમાં વધારો થઈ જતાં ફિક્સપગારદારોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આ પગાર વધારાના કારણે અસંખ્ય કેડરોમાં જૂનિયર્સના પગાર સિનિયર કરતાં વધી ગયા છે. જેને કારણે સિનિયર્સમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ગત 18મી જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ 2006 પહેલા ભરતીથી આવેલા શિક્ષકોને પણ સનિયોરિટી, બઢતી, ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવાની માગ કરી છે.
વર્ષ 2009-10માં ભરતીથી નિયુક્ત થયેલા લોકરક્ષકો પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી કાયમી થયા ત્યારે તેમને સરકાર જૂના ગ્રેડ-પે પ્રમાણે રૂ. 18,105નો પગાર આપી રહી છે. જ્યારે છેલ્લા બે-ત્રણ વર્ષની ભરતીમાં આવેલા કોન્સ્ટેબલોને રૂપિયા 19,500નો પગાર સરકારે ચૂકવ્યો છે.
જોકે, ગૃહ વિભાગ અને નાણા વિભાગનો આ મુદ્દે સંપર્ક કરતાં તેમણે વિધિસરની રજૂઆત આવ્યા પછી ગ્રેડ-પેમાં સુધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. સરકારે વર્ષ 2006 સુધી ભરતી થયેલા બાલગુરૂ, વિદ્યાસહાયકો સહિતના શિક્ષકોએ પણ અન્યાય થયો હોવાની રજૂઆત મુખ્યમંત્રી સ્તરે કરી છે.
પહેલી ફેબ્રુઆરી પછી પગારની આ પ્રકારની વિસંગતતાને લગતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સિનિયર અને હડ કોન્સ્ટેબલના પ્રમોશન સુધી પહોંચી ગયેલા જવાનોમાં આને કારણે ભારે રોષ ફાટી નીકળ્યો છે.