કોંગ્રેસે શંકરસિંહ બાપુ ગરબડ ન કરે એટલે ક્યા છ ધારાસભ્યોને રજિસ્ટર્ડ એડીથી મોકલ્યા વ્હીપ ? જાણો વિગત
કોંગ્રેસે પહેલાં તેના તમામ 57 ધારાસભ્યોને વ્હીપ તૈયાર કર્યો હતો પણ છ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં તેમને વ્હીપ લાગુ પડવાનો પ્રશ્ન રહેતો નથી. અન્ય ધારાસભ્યોમાં શંકરસિંહ સહિતના ધારાસભ્યો હજુ કોંગ્રેસમાં જ છે તેથી તેમને પક્ષના નિયમો લાગુ પડે છે તેથી તેમને કોંગ્રેસ દ્વારા વ્હીપ અપાયો છે.
વ્હીપમાં સ્પષ્ટ તાકિદ કરાઇ છે કે માત્ર એક નંબરનો પ્રથમ પ્રેફરન્સ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને આપવાનો રહેશે. આ વ્હીપ અપાયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વ્હીપનો ભંગ કરનારને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરાશે અને કોઇપણ રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડી શકશે નહીં.
આ બેઠકમાં જે ધારાસભ્યો હાજર હતા તેમને રૂબરૂમાં અને બાકીના શંકરસિંહ સહિત ધારાસભ્યોને રજીસ્ટર્ડ એ.ડી.થી વ્હીપ મોકલવામાં આવ્યો છે. શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, સી.કે.રાઉલ, અશ્વિન કોટવાલને રજીસ્ટર્ડ એ.ડી.થી વ્હીપ મોકલવામાં આવ્યા છે તેમ દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું.
કોંગ્રેસે તકેદારીના ભાગરૂપે પોતાને વ્હીપ મળ્યો નથી એવું કહીને કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ના કરે એટલા માટે છ ધારાસભ્યોને રજિસ્ટર્ડ એડીથી વ્હીપ મોકલ્યો છે. રાજયસભાનીચૂંટણી સંદર્ભે કોને મત આપવો તેવો આદેશ કરતો વ્હીપ કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અપાયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં 8 ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે ત્યારે કોંગ્રેસે તેના 51 ધારાસભ્યોને વ્હીપ આપ્યો છે. આ વ્હીપમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અહમદ પટેલને મત આપવના આદેશ અપાયો છે. રાજયસભાની ચૂંટણીનું મતદાન ગાંધીનગરમાં 8 ઓગસ્ટે યોજાશે.