ગુજરાતના કોળી સમાજે ભાજપના ક્યા બે ધારાસભ્યોને પ્રધાન બનાવવા કરી માંગ ? જાણો વિગત
પ્રથમ તબક્કામાં કોળી ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં કુંવરજી બાવળિયા અને પરષોતમ સોલંકી અલગ અલગ સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરશે. આમ, કોળી હવે ભાજપ-કોંગ્રેસને રાજકીય તાકાત દેખાડવાના મૂડમાં છે જેથી આગામી દિવસોમાં ફરી ગુજરાતનુ રાજકારણ ગરમાશે.
અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ તરફથી કોળી સમાજને અન્યાય થતાં તાજેતરમાં અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં કોળી સમાજને થઈ રહેલા અન્યાય મુદ્દે પત્ર લખવાનું નક્કી કરાયું હતું. આ પત્રો મોકલી દેવાયા છે. ભાજપ અને કોંગ્રેસના હાઇકમાન્ડને પત્ર લખીને કોળી સમાજને ન્યાય આપવાની વાત કરવામાં આવી છે.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ આ વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, એકાદ બે દિવસમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો મંત્રી પરષોતમ સોલંકી સાથે બેઠક યોજી આગળની રણનીતી નક્કી કરશે. રાજકીય પક્ષો કોળીઓનો માત્ર રાજકીય ઉપયોગ ન કરે,તેમનુ સન્માન પણ કરે.
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખવામાં આવ્યો છે અને ઓલપાડના કોળી ધારાસભ્ય મુકેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલને મંત્રીમંડળમાં સમાવવાની માંગ કરી છે.