અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનઃ સુરતમાં પણ બનાવાશે ડેપો, રોટેટિંગ સીટ સહિત આ સુવિધાઓ મળશે
એનએચએસઆરસીએલ દ્વારા પેસેન્જર્સની માસિક પાસ અને સ્ટેશન હોલ્ટમાં ફેરફારની માંગને લઇ પણ અભ્યાસ કરવામાં આવશે. બિઝનેસ ક્લાસ કોચમાં લેગ રેસ્ટ, લગેજ સ્પેસ અને સ્ટાફ રૂમ પણ હશે. જેમાં રેફ્રિજરેટર, ટી મેકર, કોફી મેકર અને હેન્ડ ટોવેલ વોર્મર્સ પણ હશે. આ ઉપરાંત બીમાર લોકો અને નાના બાળકોને સ્તનપાન કરાવવા માટે મલ્ટિ પર્પઝ કોચ પણ હશે. આ કોચમાં ફોલ્ડિંગ બેડ, બેગેજ રેક અને અરિસા પણ હશે.
આ ટ્રેનના બિઝનેસ ક્લાસ કોચ, મહિલા અને પુરુષો માટે અલગ ટોયલેટ, વોશરૂમ, રોટેટિંગ સીટ જેવી સુવિધા સહિત કેટલાક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. 10 કોચ ધરાવતી બુલેટ ટ્રેનમાં એક બિઝનેસ ક્લાસ કોચ અને નવ સ્ટાન્ડર્ડ કોચ હશે તેમ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ટ્રેનની સીટ ઓટોમેટિક રોટેશન ફેસિલિટીથી સજ્જ હશે. જેનાથી પેસેન્જર્સ ચાલતી ટ્રેનમાં વિવિધ દિશાઓનો નજારો માણી શકશે. ટ્રેનમાં ફાસ્ટ ફૂડ વિક્રેતાને પણ મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પુલ, ટનલની ડિઝાઇનિંગનું આશરે 80 ટકા કામ પૂરું થઈ ચૂક્યું હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેએ ગત વર્ષે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ 2022માં પૂરો થવાની શક્યતા છે. આ ટ્રેનથી મુંબઈ-અમદાવાદ વચ્ચે 500 કિમીનું અંતર ત્રણ કલાકથી ઓછા સમયમાં પૂરું થશે, હાલ આ અંતર કાપતાં સાત કલાક લાગે છે. આ ટ્રેન 12 સ્ટેશન પર રોકાશે. જેમાંથી 4 મહારાષ્ટ્રમાં છે.
થાણે અને સાબરમતીમાં મેટ્રો ડેપો સિવાય સુરતમાં પણ ડેપો બનાવવામાં આવશે. અહીં બુલેટ ટ્રેનના પાર્ટસને ટ્રેક પર ટેસ્ટ કર્યા બાદ એસેમ્બલ કરવામાં આવશે. ખરેના કહેવા મુજબ સમગ્ર યોજના અગ્નિ અને ભૂકંપરોધી હશે. ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં સિસ્મોમીટર અને હવા માપતી સિસ્ટમ લગાવવામાં આવશે. ટ્રેનની ગતિ હવાના વેગ પર નિર્ભર રહેશે અને જો હવાની સ્પીડ 30 મીટર પ્રતિ સેકન્ડ હશે તો ટ્રેનની સર્વિસ બંધ થઇ જશે.