પાર્ટટાઇમ અધ્યાપકોને ડિંગો, સરકારે પગાર વધાર્યો પણ કાયમી ન કર્યા
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.
સરકારે પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી ન કરતાં પગાર વધારો કરતાં ત્રણથી ચાર પિરીયડ લેનાર અધ્યાપકનો પગાર રૂ. 6048 થયો છે. પગાર વધારો પાછલી અસરથી એટલે કે તા. 1 માર્ચ, 2017થી અમલમાં આવશે. આ અંગે પાર્ટટાઇમ અધ્યાપકોએ જણાવ્યું હતું કે, કેટલાક અધ્યાપકો નિવૃત થઇ ગયા છતા તેમને કાયમી કરાયા નથી અને તેમની પછી ભરતી કરાયેલા અધ્યાપકો કોર્ટમાં જતા તેમને કાયમી કરવાની ફરજ પડી છે.