અમદાવાદમાં તોગડિયાના ઉપવાસ શરૂઃ દેખો દેખો કોન આયા...ના લાગ્યા નારા
અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણીમાં હાર બાદ પ્રવીણ તોગડિયાએ અનશન પર બેસવાની જાહેરાત કરી હતી. હાલ પ્રવીણ તોગડિયાએ અમદાવાદ સ્થિત વણીકર ભવન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકરો અને સાધૂ-સંતો પણ જોડાયા છે. તોગડિયાએ ભગવાન રામને પૂજા-અર્ચન કરી ઉપવાસ શરૂ કર્યા છે.
તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંસદમાં રામ મંદિર અને ગૌ હત્યા મુદ્દે કાયદો બને તેવો મારો સંકલ્પ છે. સૈનિકો અને ખેડૂતોની આત્મહત્યા પર તોગડિયાએ કહ્યું હતું કે દેશની સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી અને ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં તોગડિયાના સમર્થકો ઉમટી પડવાના હોવાથી જીએમડીસી ગ્રાઉન્ડમાં અનશન પર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે પોલીસની મંજૂરી નહી મળતા અમદાવાદના પાલડીના વણીકર ભવનામાં ઉપવાસ શરૂ કર્યા છે.
પહેલા તોગડિયા મંગળવારથી બત્રીસી હોલમાં ઉપવાસ પર બેસવાના હતા પરંતુ પોલીસની મંજૂરી નહી મળતા જીએમડીસી ગ્રાઉન્ડ પર ઉપવાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જોકે ત્યાં પણ પોલીસે મંજૂરી ન આપતાં તેઓએ હવે અમદાવાદના પાલડીમાં વણીકર ભવનમાં રામ મંદિર અને ગૌહત્યા રોકવા સહિતના મુદ્દાઓને લઈ ઉપવાસ શરૂ કર્યા છે.