Navratri 2021:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ વર્ષે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગરબાની મંજૂરી આપવામાં આવતાં ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો છે. અલબત્ત, આ વખતે ચોથના નોરતાનો ક્ષય છે એટલે નવરાત્રિમાં એક નોરતું ઓછું હશે.


કોરાનાના વધતા કેસને પગલે ગત વર્ષે નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં ગરબાનું આયોજન કરાયું નહોતું. જોકે, આ વર્ષે કોરોનાના ઘટતા કેસ અને વેક્સિનેશનને પગલે કોવિડ ગાઇડલાઇન્સ સાથે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષે ગરબે ઘુમવા મળવાનું હોવાથી ખેલૈયાઓનો ઉત્સાહ અત્યારથી જ વધી ગયો છે. આ વખતે નવરાત્રિમાં ચોથ તિથિનો ક્ષય છે. આમ, ૧૩ ઓક્ટોબર બુધવારના મહાઅષ્ટમી છે જ્યારે ૧૫ ઓક્ટોબરના વિજયા દશમીનું પર્વ ઉજવાશે.


કયો યોગ બની રહ્યો છે


અગ્રણી ગુજરાતી ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, મેદનીય જ્યોતિષ મુજબ નવરાત્રિ પ્રારંભ વૈધુતી યોગમાં છે. આ ઉપરાંત નવરાત્રિના આઠ દિવસ છે એટલે કે એક તિથિ ઓછી છે માટે જ્યોતિષીય સંભાવના મુજબ રાજકીય-આર્થિક અસ્થિરતાનો યોગ બની શકે છે. પરંતુ નવરાત્રિ ગુરુવારથી શરૃ થતી હોવાથી અસર ઓછી રહે છે.  


નવરાત્રિમાં મા દુર્ગાને સ્વરૂપ મુજબ વસ્ત્ર ધારણ કરાવવાનું છે મહત્વ


દેશભરમાં નવરાત્રિનું પર્વ ધૂમધામથી મનાવવામાં આવે છે. માની પૂજા સાથે આ નવ દિવસમાં રંગોનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસોમાં જો માતાને સ્વરૂપ અનુસાર વસ્ત્રો ધારણ કરાવવામાં આવે તો જલદીથી પ્રસન્ન તાય છે. દરેક દિવસ માના સ્વરૂપ અનુસાર જે તે રંગના વસ્ત્રો પહેરવાથી કિસ્મત ચમકી ઉઠે છે.


નવરાત્રિમાં આ વાતોનું રાખો ધ્યાન


નવરાત્રિ દરમિયાન અનેક વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નવ દિવસ સુધી બ્રહ્મચર્ચ વ્રતનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો ઉપવાસ કરવા જોઈએ. નવરાત્રિ દરમિયાન જો તમે ઉપવાસ કરતાં હો તો સરસવ-તેલનું તેલ, લસણ, ડુંગળી, સાદું મીઠું, તમાકુ અને શરાબનું સેવન ન કરવું જોઈએ.