Garuda Puran: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની પાસે પૂરતા પૈસા હોય જેથી તેઓ સારું જીવન જીવી શકે અને તેમના પરિવારને વિશ્વની તમામ સુખ સુવિધાઓ આપી શકે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મહાલક્ષ્મીજીની કૃપા હંમેશા તેમના પર રહે. આ જ કારણ છે કે લોકો મા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ ઘણી રીતે પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ એ પણ જણાવ્યું છે કે એવા કયા કાર્યો છે જેનાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે.


ગરુડ પુરાણ મુજબ ન કરવા જોઈએ આ કામ



  • ગરુડ પુરાણ મુજબ જે લોકો મેલા કે ગંદા કપડા પહેરે છે તેનો ધનની દેવી લક્ષ્મી ત્યાગ કરે છે. હંમેશા રોજ નહાવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે લોકો સ્વચ્છ રહે છે તેમના પર માતા મહાલક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

  • રાત્રે કે ગમે ત્યારે જમ્યા પછી જો વાસણોને લાંબા સમય સુધી આમ જ રહેવા દેવામાં આવે તો શનિનો ખરાબ પ્રભાવ વધવા લાગે છે. જે તમારા ઘરમાં ગરીબીનું કારણ બને છે.

  • ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ સ્વભાવે આલોચક હોય છે એટલે કે તે હંમેશા અન્ય વ્યક્તિની ખામીઓને શોધે છે અને બીજા વિશે ખરાબ બોલે છે, માતા લક્ષ્મી તેના પર ક્રોધિત થઈ જાય છે. બિનજરૂરી રીતે બીજા પર ગુસ્સે થવાની વૃત્તિ હોય તો પણ જીવનમાં દરિદ્રતા આવી જાય છે.

  • સૂર્યોદય પછી પણ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઊંઘે છે તો આવી વ્યક્તિને આળસુ સ્વભાવની માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર આવી વ્યક્તિના જીવનમાં તમામ પ્રયત્નો કરવા છતાં જીવનમાં ધનની હંમેશા કમી રહે છે.

  • કેટલાક લોકો પૈસા મેળવવા માટે સાચા-ખોટાની પસંદગી કરવામાં અસમર્થ હોય છે, તો કેટલાક લોકો અન્યના પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. બીજાના પૈસા પડાવી લેવા એ શાસ્ત્રોમાં પાપ કહેવાયું છે. આપણે આપણી મહેનતથી પૈસા કમાવવા જોઈએ, જે આપણને ખુશી આપે છે. બીજાની સંપત્તિ પડાવી લેવા માટે કોઈએ લોભી ન હોવું જોઈએ, જેઓ લાલચ કરે છે તેઓ ક્યારેય ખુશ નથી હોતા.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.