ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.


રાશિ પ્રમાણે પૂજનનું મહત્વ


જ્યોતીષોના કહેવા મુજબ ભોલેનાથના રીઝવવા પૂજા., અભિષેક ફળદાયી માનવામાં આવે છે. શિવભક્તો રાશિ મુજબ પૂજન અને શિવલિંગ પર વિવિધ અભિષેક કરીને પૂજા દ્વારા મનોવાંછીત ફળ મેળવી શકે છે.



  • મેષઃ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.

  • વૃષભઃ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,

  • મિથુનઃ શેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,

  • કર્કઃ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.

  • સિંહઃ ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.

  • કન્યાઃ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,

  • તુલાઃ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.

  • વૃશ્ચિકઃ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.

  • ધનઃ કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,

  • મકરઃ શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.

  • કુંભઃ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,

  • મીનઃ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.


રાજ્યના શિવ મંદિરોમાં વિશેષ આયોજનો


શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. સારંગપુર દરવાજા બહાર આવેલા  પ્રાચીન કર્ણમુક્તેશ્વર મંદિરમાં રૃદ્રાભિષેક તેમજ લઘુરૃદ્રનું પઠન થશે. જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન માટે સેકંડો ભક્તો રવિવારે રાત્રે જ પહોંચી ગયા છે. આ ઉપરાંત દ્વારકા પાસે આવેલા જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલના શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્શન માટે પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે.


મંદિરોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન


અમદાવાદના કેટલાક શિવમંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. કેટલાક મંદિરોમાં જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક મંદિરોમાં ભક્તોને બિલિપત્ર, ફૂલ ચઢાવવા અને અભિષેક કરવાની પણ મનાઇ છે. ભક્તો કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરે તેના માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવવું, મંદિરની રેલિંગને અડકવી નહીં, દર્શન બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવવું નહીં તેવા નિયમનો સમાવેશ થાય છે.


શ્રાવણ માસમાં કઈ કઈ તારીખે આવે છે સોમવાર



  • 9 ઓગસ્ટ, 2021

  • 16 ઓગસ્ટ, 2021

  • 23 ઓગસ્ટ, 2021

  • 30 ઓગસ્ટ, 2021

  • 6 સપ્ટેમ્બર, 2021