વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ વચ્ચે દેશભરમાં આજે દશેરો ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ પર દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારીએ તહેવારની ઉજવણી ફિક્કી પાડી દીધી છે. મેળામાં રાવણ દહન જોવા માટે ભેગા થતો લોકો ઘરમાં જ દશેરાની પૂજા કરી રહ્યા છે. ખાસ કરીને દશેરાના પર્વ પર શહેર અને ગામડાઓમાં રાવણની ઉંચા ઉંચા પૂતળા બનાવીને તેનું દહન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે મેળા અને મોટા આયોજનો પર પ્રતિબંધ લગાવાયો છે અને રાવણના પૂતળાની ઉંચાઈમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.


હિંદુ કેલેન્ડર અનુસાર દસમાં દિવસે દશેરો અથવા વિજયાદશમી પર્વ ઉજવવામાં આવે છે. જેની સાથે નવ દિવસ દુર્ગા પૂજા અને નવરાત્રિ ઉત્સવ બન્ને સમાપ્ત થાય છે. આ વર્ષે દશેરો 25 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે દેવી દુર્ગા માએ રાક્ષસ રાજા મહિષાસુરનો વધ કર્યો હતો અને બીજી એક માન્યતા એવી છે કે, આ દિવસે ભગવાન રામે રાવણને હરાવ્યો હતો. બન્ને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે.