બેંકો કામગીરીના કલાકોમાં કાઉન્ટર-ટેલર બંધ ન કરી શકે
નવી દિલ્હીઃ બેંકો તેમના લંચ બ્રેક દરમિયાન ક્યારેય પણ કાઉન્ટર બંધ કરી શકે નહીં. એક આરટીઆઇના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કામગીરીના સમય દરમિયાનમાં બેંક કદી પણ પોતાના કાઉન્ટર કે ટેલર બંધ કરી ન શકે. કામકાજના સમયમાં જો કોઇ ખાતેદાર પહોંચી ગયો હોય તો તેના કામનો નિપટારો થવો જ જોઇએ, પછી ભલે બેંકે કામકાજનો સમય વધારો કેમ ન પડે!
ઉત્તરાખંડના હલદવાનીમાં રહેતા ડો.પ્રમોદ અગ્રવાલ ગોલ્ડીએ આરટીઆઇ થકી રિઝર્વ બેંકને પૂછયું હતું કે, એસબીઆઇ, બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોમાં શું કોઇ લંચ ટાઇમ હોય છે. લંચના સમયમાં બેંક કર્મચારી લેવડ-દેવડ સેવા પોતાના ગ્રાહકોને આપી શકે કે નહીં. આ બંને સવાલના જવાબમાં જણાવાયું છે કે, રિઝર્વ બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ રેગ્યુલેશને બેંકોમાં કામકાજના સમયમાં કોઇ લંચ ટાઇમ એટલે કે લંચ બ્રેકની વ્યવસ્થા નથી કરી. આ સંદર્ભે રિઝર્વ બેંકે તમામ બેંકોને ૧લી જુલાઇ ર૦૧પના રોજ પરિપત્ર જારી કર્યો હતો.
એ સરકયુલરના પેરેગ્રાફ ૭.ર, ૭.૩ અને ૭.૪માં સ્પષ્ટ લખ્યુ છે કે બેંક પોતાની સુવિધા અનુસાર કાર્ય અવધી નક્કી કરી શકે છે પરંતુ જો તે પોતાના કાર્યો માટે બેંક બંધ કરે તો એ બાબત તેણે પોતાના ગ્રાહકને અગાઉથી જાણકારી આપવી પડે. આરટીઆઇના ખુલાસામાં એવુ પણ જણાવાયુ છે કે બેન્કીંગ સિસ્ટમના યોગ્ય સંચાલન માટે કામકાજનો સમય શરૂ થાય તેના ૧પ મીનીટ પહેલા બેંક કર્મચારીએ બેંકમાં પહોંચવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકે બેંક મેનેજરો અને અન્ય અધિકારીઓને અવિરત સેવાઓ માટે એ સુનિશ્ચત કરવા માટે કહ્યુ છે કે શાખાઓમાં કાર્ય અવધી દરમિયાન કોઇપણ કાઉન્ટર કે ટેલર બંધ ન રહે. બેંકોને એવુ જણાવાયુ છે કે, આ અંગે કોઇ ગ્રાહકને ફરિયાદની તક ન આપે. રિઝર્વ બેંકનો એવો નિર્દેશ પણ ઓછા લોકો જાણે છે કે કાર્ય અવધી પુરી થાય તે પહેલા બેંકના હોલમાં પ્રવેશ કરી ચુકેલા બધા ગ્રાહકોને એટેન્ડ કરવાનુ બેંક માટે ફરજીયાત છે એટલુ જ નહી કેશને બાદ કરતા ચેક, રીસીપ્ટ સહિત અન્ય પેન્ડીંગ કાર્યો માટે જો જરૂર પડે તો બેંકે કામકાજનો સમય એક કલાક વધારવો જોઇએ.
આરટીઆઇ થકી પુછવામાં આવેલા સવાલના જવાબમાં રિઝર્વ બેંક કહ્યુ છે કે કોઇપણ સેવા માટે બેંક સામાન્ય ચાર્જ લઇ શકે છે. આ માટે વર્કીંગ ગ્રુપ બનાવવામાં આવ્યુ છે. રિઝર્વ બેંકે એવુ પણ કહ્યુ છે કે પ૦ પૈસાનો સિક્કો પણ કાયદેસરનો છે એટલે કે તમે પ૦ પૈસાથી લઇને ૧૦ રૂપિયાનો સિક્કો બેંકમાં જમા કરાવી શકો આ માટે બેંક ના પાડી ન શકે.