સાવધાન! બેંક લોકરમાં મુકેલી ચીજો માટે બેન્કો જવાબદાર નથીઃ RBI

નવી દિલ્હીઃ જો બેંક લોકરમાંથી કોઈ કિંમતી સામાન ચોરી અથવા ગાયબ થઈ જાય તો તેની જવાબદારી બેંકની નહીં રહે. એક આરટીઆઈ અરજીના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ સ્પષ્ટતા કરી છે. તેનું કહેવું છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોની લોકર હાયરિંગ એગ્રીમેન્ટમાં આવી કોઇ જવાબદારી રખાઇ નથી. તેથી સેઈફ ડિપોઝિટ બોક્સમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કે ઉચાપત થઇ જાય તો બેન્ક પાસેથી કોઇ વળતરની અપેક્ષા ન રાખશો.
વકીલને મળેલા જવાબમાં બેન્ક ઓફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેન્ક, યુકો અને કેનરા સહિત ૧૯ બેન્કોએ એ માટે એક જ કારણ આપ્યું છે અને તે એ છે કે આ મામલે ગ્રાહકો સાથે બેન્કોનો સંબંધ મકાન માલિક અને ભાડુઆત જેવો જ હોય છે.
આરટીઆઈના જવાબમાં તમામ બેન્કોએ કહ્યું હતું કે લૉકરના સંદર્ભમાં ગ્રાહક અને બેન્ક વચ્ચેની ભૂમિકા માત્ર ભાડુઆત (લેન્ડલૉર્ડ) અને ભાડૂત (ટેનન્ટ) જેવો છે. બેન્કોનું કહેવું છે કે આ સંદર્ભમાં બેન્કની માલિકીના લૉકરમાં ગ્રાહકે રાખેલી વસ્તુઓ માટે ગ્રાહક જ જવાબદાર છે. લૉકર ભાડે રાખવા માટેના કરારમાં કેટલીક બેન્કો સ્પષ્ટપણે જણાવે છે કે ગ્રાહક પોતાના જોખમે લૉકરમાં ચીજવસ્તુઓ રાખે છે. લૉકર ભાડે રાખતી વખતે કરવામાં આવતા કરારમાં સામાન્યપણે જણાવવામાં આવે છે કે, ‘સેફ ડિપોઝીટ વૉલ્ટમાં રાખવામાં આવતી વસ્તુઓ માટે બેન્ક જવાબદાર નથી.
ચોરી, લૂંટફાટ કે યુદ્ધ જેવી સ્થિતિમાં લૉકરમાં રખાયેલી વસ્તુને નુકસાન પહોંચે અથવા તો ગૂમ થાય તો તેની જવાબદારી માત્ર ગ્રાહકની રહે છે.’ આ પ્રત્યુત્તર મળ્યા બાદ કાલરાએ સીસીઆઇ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભાડુ ચૂકવીને બેન્ક લૉકરમાં ચીજવસ્તુઓ રાખવા કરતા તેનો વીમો ઉતરાવીને ઘરે જ આ ચીજવસ્તુઓ રાખવી વધારે હિતાવહ છે. કાલરાનો આરોપ છે કે એસબીઆઇ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સિન્ડિકેટ બેન્ક તથા અલાહાબાદ બેન્ક સહિતની બેન્કો કાર્ટેલ રચીને આ પ્રકારની બિન-સ્પર્ધાત્મક નીતિ નક્કી કરી છે. કાલરાએ આ સંદર્ભમાં કૉમ્પિટીશન એક્ટ હેઠળ તપાસની માગણી કરી છે.
રિઝર્વ બેન્ક અને ૧૯ જેટલી રાષ્ટ્રીયકૃત બેન્કોએ આરટીઆઇના એક જવાબમાં આ કડવું સત્ય બહાર પાડ્યું છે. આ ખુલાસાથી આશ્ચર્યચકિત થયેલાં આ આરટીઆઇ અરજી કરનારા વકીલે કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયામાં પહોંચ્યા છે અને આક્ષેપ કર્યો છે કે બેન્કો લોકર સર્વિસ અંગે ‘કાર્ટેલાઇઝેશન’ અપનાવી રહી છે.