ATMમાંથી રૂપિયા ઉપાડવા પડશે મોંઘા, વિથડ્રોઅલ ચાર્જ વધારવાની તૈયારીમાં બેંક
નવી દિલ્હીઃ બેંક બ્રાન્ચ બાદ હવે એટીએમમાંથી રોકડ ઉપાડવનાનું પણ મોંઘું થઈ શકે છે. બેંક ટૂંકમાં જ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડી શકે છે અથવા રૂપિયા ઉપાડવા પર વધારે વધારે ચાર્જ વસુલી શકે છે. હાલમાં ગ્રાહકો દર મહિને પાંચ વખત કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે. ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા આપવા પડે છે.
નોન-ફાઈનાન્શિયલ જેમ કે બેલન્સ ચેક કરવા, ચેક બુક અરજી કરવા માટે બેંક 8.5 રૂપિયા ચાર્જ વસુલે છે. જ્યારે અન્ય બેંકના એટીએમમાંથી દર મહિને માત્ર ત્રણ વખત જ રૂપિયા ઉપાડી શકાય છે. ત્યાર બાદ તમારે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવો પડે છે.
જોકે નોટબંધી બાદ આ ચાર્જીસ હટાવી લેવામાં આવ્યા હતા. એક જાન્યુઆરીથી ફરીથી ચાર્જ લેવાનું શરૂ કરવાનું હતું. જોકે કેટલીક બેંકે ચાર્જ વસુલવાનું શરૂ કરી દીધું છે જ્યારે કેટલીક બેંક આજે પણ છૂટ આપી રહી છે. બેંક અધિકારીએ કહ્યું કે, એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવા અને ચાર્જ વધારવાના સંબંધમાં અનેક દરખાસ્ત મળી છે, પરંતુ હાલમાં કોઈ આખરી નિર્ણય કરવામાં આવ્યો નથી.
એક્સિસ બેંકના પ્રવક્તાએ કહ્યું કે, આ ચાર્જ કોઈ નવો નથી. નોટબંધી દરમિયાન આ ચાર્જીસને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, હવે કેશની સપ્લાઈ સામાન્ય થઈ ગઈ છે, માટે બેંકે તેને ફરીથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉપરાંત દેશમાં ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે આવનારા દિવસોમાં સરકાર નિર્ણય લઈ શકે છે. દેશની અનેક મોટી બેંકોએ બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે.