મુંબઈઃ પીએનબીમાં એક લાખ તેર હજાર કરોડ રૂપિયાનો ગોટાળો, ખુદ બેંકે જણાવી વાત
મુંબઈઃ ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકે તેની મુંબઈની એક બ્રાંચમાંથી આશરે 1.77 અબજ ડોલર (આશરે એક લાખ તેર હજાર કરોડ રૂપિયા)નો ગોટાળો પકડ્યો છે. પીએનબીએ મુંબઈની એક બ્રાંચમાંથી થઈ રહેલું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું હતું. ટ્રાન્ઝેક્શન દ્વારા કેટલાંક એકાઉન્ટ હોલ્ડરને લાભ આપવામાં આવતો હતો. બેંકે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ આપી છે. આ ગોટાળાની અસર કેટલીક બેંકો પર પણ જોવા મળી શકે છે.
જોકે બેંક દ્વારા આ ગોટાળામાં સામેલ કોઇ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આ અંગે તપાસ એજન્સીને જાણકારી આપી દેવામાં આવી છે. આ માહિતી સામે આવ્યા બાદ પીએનબીનો શેર 4 ટકાથી વધારે તૂટી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે પીએનબી પહેલાથી જ ગોટાળાની તપાસ કરી રહી છે. ગત સપ્તાહે સીબીઆઈએ કહ્યું હતું કે પીએનબીની ફરિયાદના આધારે અબજોપતિ જ્વેલર નીરવ મોદી સામે તપાસ શરૂ કરી હતી. પીએનબીએ જ્વેલર અને કેટલાક અન્ય લોકો પર 4.4 કરોડ ડોલરના ગોટાળાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.