હવે McD's અને KFCને ટક્કર આપવા રેસ્ટોરાં ખોલશે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ
નવી દિલ્હીઃ વિતેલા ઘણાં વર્ષથી પોતાની પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉત્પાદનો દ્વારા યૂનીલિવર જેવી કંપનીઓને ટક્કર આપતી યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ હવે ભારતમાં રેસ્ટોરાં બિઝનેસમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. જેની સ્પર્ધા મેકડોનલ્ડ્સ કોર્પ, કેન્ટકી ફ્રાઈડ ચિકન કોર્પ (કેએફસી) તથા સબવે રેસ્ટોરાં જેવી કંપનીઓ સાથે થશે.
પતંજલિ આયુર્વેદે નાણાકીય વર્ષ 2016-17માં રૂ.10,651 કરોડની રેવન્યુ હાંસલ કરી છે. પતંજલિ ટૂથપેસ્ટ સેગમેન્ટ (દંત કાંતિ)થી રૂ.940 કરોડની આવક થઇ છે. જ્યારે હેર કેર ઓઇલ સેગમેન્ટમાં કંપનીની આવક રૂ.825 કરોડ અને ફેસવોશમાં રૂ.228 કરોડ રહી છે. કંપનીએ દેશી ઘી વેચીને રૂ.1467 કરોડ કમાણી કરી. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરાધિકારીની નિમણુક અંગે જણાવ્યું કે કોઇ સંન્યાસી જ પતંજલિનું સંચાલન કરશે.
ઈન્ડિયા ફૂડ ફોરમના જણાવ્યા મુજબ ભારતના કુલ રિટેલ કારોબારમાં 57 ટકા હિસ્સો ફૂડનો છે, જે 2025 સુધીમાં ત્રણ ગણો વધીને 71 લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા છે. આ સેગમેન્ટમાં આવતા પહેલાં કંપનીએ પોતાની ઓળખ બનાવવા સંઘર્ષ કરવો પડી શકે છે. પતંજલિ આયુર્વેદમાં શરૂઆતમાં ઉત્સુક્તા પેદા કરવાની ક્ષમતા છે. જોકે, ક્વિક સર્વિસ રેસ્ટોરાં સેગમેન્ટમાં જંગી મૂડી રોકાણની જરૂર પડતી હોવાથી લાંબા સમય સુધી શ્રેષ્ઠ ન કરી શકે તેવી પણ શક્યતા છે.
બ્લૂમબર્ગ અનુસાર, ઉત્તરાખંડથી સંચાલિત પતંજલિ આયુર્વેદ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર બાબા રામદેવે નવી દિલ્હીમાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, કંપની હવે ભારતભરમાં રેસ્ટોરાં ચેન ખોલવાની વ્યાપક યોજના બનાવી રહી છે.
રામદેવે જણાવ્યું કે અમારી પાસે આ સમયે 30-40 હજાર કરોડના વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા છે. આગામી વર્ષ સુધી ક્ષમતા 60,000 કરોડ સુધીની હશે. રામદેવે જણાવ્યું કે અમારી નોઇડામાં યુનિટ લાગશે, તેમાં 20-25 હજાર કરોડની પ્રોડક્શન ક્ષમતા હશે. રામદેવે જણાવ્યું કે પતંજલિ અંગે સતત અફવાઓ ફેલાવાઇ રહી છે. મુસ્લિમ લોકોને એવું કહેવામાં આવે છે કે અમારી બધી પ્રોડક્ટસમાં ગોમૂત્ર હોય છે. તેમણે સ્પષ્ટતા કરી કે માત્ર 4-5 પ્રોડક્ટમાં ગોમૂત્ર છે. જેમાં પણ ગોમૂત્ર સામેલ છે તેમાં અમે તે લખીએ છીએ.
નાણાકીય વર્ષ 2017માં શેમ્પૂ સેગમેન્ટમાં માર્કેટ શેર 15 ટકા, ટૂથપેસ્ટમાં, 14 ટકા, ફેસવોશમાં 15 ટકા, ડિશવોશમાં 35 ટકા અને મધમાં 50 ટકા હાંસલ કર્યા છે. રામદેવે જણાવ્યું કે અમારી કંપનીએ ટૂથપેસ્ટ વેચીને રૂ.940 કરોડ અને દેશી ઘી વેચીને રૂ.1467 કરોડ કમાણી કરી.