તમારી પાસે દેશની આ ટોચની બેંકનું ડેબિટ કાર્ડ હશે તો થઈ જશે બ્લોક, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કે પોતાનું મેસ્ટ્રો ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડને બદલે ઇએમવી ચીપ આધારિત નવી કાર્ડ સેવા પુરી પાડવામાં આવશે. જો પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો જૂના કાર્ડ બદલાવતા નથી તો આ મહિનાના અંતમાં તેના કાર્ડ બંધ કરી દેવામાં આવશે.
બેન્કે જણાવ્યું હતું કે, ડેબિટ કાર્ડ બદલવા માટેનો કોઇ ચાર્જ લાગશે નહી અને તમામ કાર્ડ ફ્રી રહેશે. બેન્કે પોતાના ગ્રાહકોને મોકલેલી સૂચનામાં જણાવ્યું હતું કે, જો તમારી પાસે મેસ્ટ્રો ડેબિટ કાર્ડ હોય તો તેને મફતમાં બેન્કની કોઇ પણ શાખામાં જઇને ઇએમવી ચિપ આધારિત નવા ડેબિટ કાર્ડમાં બદલાવી શકો છો.
બેન્કના કહેવા પ્રમાણે, જૂના મેસ્ટ્રો ડેબિટ કાર્ડધારકોની સંખ્યા લગભગ એક લાખ ગ્રાહકો છે. બેન્કે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે.
પીએનબીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમામ બેન્ક વધુ સુરક્ષિત ઇએમવી ચિપ આધારિત કાર્ડ ચલણમાં લાવશે. જેના જવાબમાં બેન્કે કહ્યું કે, કાર્ડનું આ રિપ્લેસમેન્ટ આરબીઆઇ તરફથી વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલી એડવાઇઝરી પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.
બેન્કના કહેવા પ્રમાણે, 31,જૂલાઇ 2017થી પીએનબી દ્ધારા જાહેર કરાયેલા તમામ મેસ્ટ્રો ડેબિટ કાર્ડને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવશે.