ટાટા ટેલીસર્વિસીસે 500-600 કર્મચારીઓને નોકરીમાંથી છૂંટા કર્યા, વધતી સ્પર્ધાની અસર
નવી દિલ્હીઃ ટાટા ટેલીસર્વિસીસે વધતી પ્રતિસ્પર્ધાને કારણે બજારમાં ઉભી થયેલ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે 500-600 કર્મચારીઓને છૂટાં કર્યા છે. આ મામલા સાથે જોડાયેલ બે વ્યક્તિઓએ જણાવ્યું કે, વેચાણ અને અન્ય સંબંધિત વિભાગોમાં 500-600 કર્મચારીઓ પર આ છંટણીની અસર થશે.
કંપનીમાંથી છૂટાં કરાયેલા કર્મચારીઓને સેવરન્સ પેકેજ તરીકે પ્રત્યેક એક વર્ષની નોકરી બદલ એક મહિનાનું વેતન આપવામાં આવશે. આ મામલે તાતા ટેલિસર્વિસને કરેલા મેઈલનો કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ માટે હાલ અત્યંત પડકારભર્યો સમય ચાલી રહ્યો છે.
તાતા ટેલિ સહિતની મોટાભાગની કંપનીઓ બજારની સ્પર્ધામાં ટકી રહેવા માટે હાલ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. રિલાયન્સ જિઓના આગમનને કારણે હાલ દેશના ટેલિકોમ ઉદ્યોગમાં શરૂ થયેલા ગળાકાપ પ્રાઈસ વોરને કારણે સમગ્ર ટેલિકોમ ઉદ્યોગ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. તાતા ટેલિ ઉપરાંત તેની પેટાકંપની તાતા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) દેશના 19 ટેલિકોમ સર્કલ્સમાં હાજરી ધરાવે છે.