Airtelએ ગ્રાહકોની મંજૂરી વગર જ ખોલ્યા પેમેન્ટ બેંકમાં ખાતા, UIDAIએ મોકલી નોટિસ

લોકોની ફરિયાદ બાદ માલુમ પડ્યું કે એરટેલ સ્ટોર્સ આધાર આધારિત સિમ વેરિફિકેશન માટે પહોંચી રહેલા ગ્રાહકોના એરટેલ પેમેન્ટ્સ એકાઉન્ટ્સ ખોલી રહ્યા છે. એવું માની શકાય છે કે ગ્રાહકોના આધાર વેરિફિકેશનનો લાભ ઉઠાવીને એરટેલ પોતાના ખાતા ધારકોની સંખ્યા વધારવા આમ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ આધાર જારી કરનારી સંસ્થા UIDAIએ પોતાના ગ્રાહકોની મંજૂરી વગર કથિત રીતે પેમેન્ટ બેંકમાં ખાતા ખોલવા પર ભારતી એરટેલ અને એરટેલ પેમેન્ટ્સ બેંકને મોટિસ ફટકારી છે. આરોપ છે કે એરટેલ પોતાને ત્યાં આધાર આધારિત મોબાઈલ સિમ વેરિફિકેશન માટે આવનાર ગ્રાહકોના પેમેન્ટ બેંકમાં ખાતા ખોલી રહી છે અને આ અંગે ગ્રાહકોની મંજૂરી પણ લેવામાં આવી નથી.
આ મામલો સામે આવતા જ UIDAIએ એરટેલને આ બાબતે નોટિસ મોકલી છે. આધાર ઓથોરિટીએ તેને ગેરકાનૂની ગણાવતા તરત જ તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે. UIDAIએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, એવી ફરિયાદો મળી રહી છે કે એરટેલ રિટેલ સ્ટોર આધાર વેરિફિકેશન માટે આવેલા લોકો પાસેથી એરટેલ પેમેન્ટ્સ બેન્ક ખોલાવી રહ્યા છે. લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે પહેલા તેમની પરવાનગી વિના જ એરટેલ પેમેન્ટ એકાઉન્ટ ખુલી રહ્યા છે અને બાદમાં તેને એલપીજી ગેસ સબસીડી સાથે જોડવામાં આવી રહ્યા છે.
મીડિયાની જાણકારી અનુસાર એરટેલ પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક આરબીઆઈ અને UIDAIની ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ગ્રાહકોને આ સંબંધમાં જાણકારી આપીશું અને પારદર્શિતા બનાવી રાખવા માટે જરૂરી પગલા ઉઠાવીશું. તેમણે દાવો કર્યો કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક ગ્રાહકોની સહમતિ બાદ જ તેમના ખાતા ખોલી રહ્યું છે.