IDBI બેંકના પૂર્વ ચેરમેન સહિત આઠની ધરપકડ, વિજય માલ્યા પર મહેરબાન હોવાનો આરોપ

બધા આરોપીઓને મુંબઈ લઈ જવાયા છે. વિજય માલ્યાના માથા પર કિંગફિશર માટે બેંકોની 6,203 કરોડ રૂપિયાનું દેવુ છે. તેમને એક અદાલતે ભાગેડૂ ગૂનેગાર પણ જાહેર કરી દીધો છે.
બેંગલુરુઃ સીબીઆઈએ વિજય માલ્યાની બેંક લોન ચૂકવવાના મામલે આઈડીબીઆઈના પૂર્વ ચેરમેનની ધરપકડ કરી છે. સીબીઆઈએ કિંગફિશર એરલાઈન્સના આઠ કર્મચારીઓ અને આઈડીબીઆઈ બેંકના ત્રણ પૂર્વ કર્મચારીઓની પણ ધરપકડ કરી છે. મીડિયા સૂત્રો અનુસાર વિજય માલ્યા કૌભાંડ કેસમાં આઈડીબીઆઈ બેંકના પૂર્વ ચેરમેન યોગેશ અગ્રવાલ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યૂબી જૂથના પ્રવક્તાએ બાબતની પુષ્ટી કરી છે કે સીબીઆઈ અધિકારીઓની ટૂકડી તેમની ઓફિસમાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે તેઓ તપાસ સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. બેંગ્લુરુના ઋણ વસૂલી ન્યાયાધિકરણે ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીવાળા બેન્ક કન્સોર્ટિયમને માલ્યા અને તેમની કંપનીઓ પાસેથી કિંગફિશર એરલાઈન્સના કેસમાં 6,203 કરોડ રૂપિયાની લોનની 11.5 ટકાના વાર્ષિક વ્યાજથી વસૂલાત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. માલ્યા બીજી માર્ચે દેશમાંથી બહાર ભાગી ગયો હતો અને હાલ તે લંડનમાં નિવાસ કરી રહ્યો છે.
અગાઉ સીબીઆઈએ 11 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. માલ્યા, યોગેશ અગ્રવાલ, રઘુનાથનના ઘરો સિવાય માલ્યાની આગેવાનીવાળા યૂબી જૂથના બેંગ્લુરુ સહિતની ઓફિસો પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જોકે, સીબીઆઈ અધિકારીએ તેનાથી વધુ કોઈ માહિતી આપી નહોતી.