નવી દિલ્હીઃ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તે પોતાના ભાઇ અને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રચાર કરવા કેરલના  વાયનાડ પહોંચી હતી. પ્રિયંકાએ અહીં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ એક સરકાર સત્તામાં આવી હતી જેને બહુમતથી મત આપવામાં આવ્યા હતા. આપણા દેશના લોકોએ બીજેપી સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓ મુકી હતી. આ સરકારે સત્તામાં આવ્યા બાદ લોકોને દગો આપવાની શરૂઆત કરી હતી.


પ્રિયંકા ગાંધીએ ભાજપના 15 લાખ રૂપિયા આપવાના વચન પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ એવું માનવા લાગ્યા કે સત્તા તેમની છે લોકોની નહી. તેમના અધ્યક્ષે જાહેરાત કરી કે તમામના બેન્ક ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આ વચન ફક્ત ચૂંટણી માટે  હતો જેને તેમણે  જુમલો ગણાવ્યો હતો.

નોંધનીય છે કે રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું તે વ્યક્તિ તરફથી ઉભી છું જે જન્મ્યો ત્યારથી હું તેને જાણું છું. તે આ ચૂંટણીમાં તમારા ઉમેદવાર હશે. તે છેલ્લા 10 વર્ષમાં વિરોધીઓ તરફથી વ્યાપક પ્રમાણમાં વ્યક્તિગત હુમલાઓનો સામનો કરી ચૂક્યા છે. તેમની તે છબિ બનાવવામાં આવી છે જે સચ્ચાઇથી ઘણી દૂર છે.