Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ શુક્રવારે મતદાન થવાનું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. આ બેઠક પરથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના નેતા એની રાજા સાથે થશે, પરંતુ આ સમય દરમિયાન તમામની નજર ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર રહેશે.


વાસ્તવમાં આ બંને સીટો માટે નૉમિનેશન 26 એપ્રિલથી શરૂ થશે. સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે.


કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ બંને બેઠકો પરથી ચૂંટણી લડી શકે તેવી પૂરી સંભાવના છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે આ બંને બેઠકો અંગે ઔપચારિક જાહેરાત 30 એપ્રિલ પહેલા કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતાઓએ પણ આ બે બેઠકો પર રાહુલ અને પ્રિયંકાની સંભવિત ઉમેદવારી અંગે કંઈ કહ્યું નથી.


સૂત્રોનું એમ પણ કહેવું છે કે અમેઠી અને રાયબરેલી જતા પહેલા રાહુલ અને પ્રિયંકા અયોધ્યા જઈ શકે છે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે જો રાહુલ અને પ્રિયંકા આ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો આ બેઠકો પર 1 અને 3 મેના રોજ નામાંકન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અહીં નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે.


રાહુલ ગાંધીની ટીમનો અમેઠીમાં કેમ્પ શરૂ 
અમેઠીથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીની ટીમે અમેઠીમાં પડાવ નાંખવાનું શરૂ કરી દીધું છે. યુપી કોંગ્રેસ ટીમને રાહુલ ગાંધીના નામાંકન માટે 1 મેની કામચલાઉ તારીખ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 1 મેના રોજ અમેઠીમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે.


મળતી માહિતી મુજબ 26મી એપ્રિલની ચૂંટણી બાદ રાહુલ ગાંધી 27મી એપ્રિલે અમેઠી પહોંચે તેવી શક્યતા છે. તેઓ 1લી મેના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે. 


અમેઠી અને રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાહુલ ગાંધી બે વખત અમેઠીથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી સતત જીતનો ઝંડો લહેરાવી રહ્યાં છે.


ગઇ લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાહુલ ગાંધીને મળી હતી હાર 
2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોદી સરકારમાં મંત્રી રહેલા સ્મૃતિ ઈરાની દ્વારા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જોકે, તેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી લોકસભા ક્ષેત્રમાં 5 વિધાનસભા બેઠકો છે. 2022ની ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટી અમેઠી અને ગૌરીગંજમાંથી બે ધારાસભ્યો મેળવવામાં સફળ રહી હતી, જ્યારે તે ખૂબ જ ઓછા મતોથી સેલોન બેઠક હારી ગઈ હતી. અમેઠીમાં ભાજપને ત્રણ ધારાસભ્યો મેળવવામાં સફળતા મળી હતી.


સોનિયાં ગાંધીના રાજ્યસભા જવાથી રાયબરેલી બેઠક પર સંશય 
સોનિયા ગાંધીએ 2019માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. 1999માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તે પછી 2004 માં તેણીએ પ્રથમ વખત રાયબરેલીથી ચૂંટણી લડી અને જીતી. સોનિયા ગાંધી કુલ પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે સોનિયાએ રાયબરેલી સાથેના દાયકાઓનાં પારિવારિક સંબંધો છોડીને રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું ત્યારે તે ખૂબ જ ભાવુક દેખાતી હતી.