અમદાવાદઃ તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે ભગવાન બારડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને વચગાળાની રાહત આપતાં હાલ, તાલાલા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય. આ સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ, ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે પેટા ચૂંટણી પર રોક લગાવવાની ભગવાન બારડની માંગણી ફગાવી દેતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.




નોંધનીય છે કે, ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત પણ કરી હતી. ગુજરાતમાં આ માટે 23મી એપ્રિલે મતદાન પણ યોજાવાનું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપતાં હાલ, પૂરતી ચૂંટણી ટળી ગઈ છે.



ભગવાન બારડને ગેરલાયક ઠરાવવાના મુદ્દે તેમણે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં હાલ પેટાચૂંટણી ના યોજાય તે મતલબની માગણી કરી હતી. સાથે જ વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પણ પડકાર્યો હતો. તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવા અંગે ચૂંટણીપંચે પોતાનું વલણ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું અને રજૂઆત કરી હતી કે ચૂંટણીપંચે વિધાનસભા અધ્યક્ષ ના જાહેર કરાયેલા મેન્ડેટ પ્રમાણે પગલા લેવાના હોય છે.



વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર ફેર વિચારણા કે સમીક્ષા કરવા માટેની એપેલેટ બોડી ચૂંટણીપંચ નથી. ચૂંટણીપંચે પક્ષપાતભર્યું કોઈ વલણ દાખવ્યું નથી. ચૂંટણી પંચે કરેલા એફિડેવિટ બાદ હાઈકોર્ટે ચૂંટણીપંચને એ પણ પૂછ્યું હતું કે જ્યારે ભગવાન બારડને દોષિત જાહેર કરવાના નિર્ણય પર રોક લાગેલી હતી, તેવામાં ઉતાવળથી ચૂંટણી જાહેર કરવાની શું જરૂર હતી, જેમાં ચૂંટણી પંચે પોતે નિયમાનુસાર કાર્યવાહી કરી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષના સેક્રેટરીએ આ પહેલા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યને જે દિવસે બે વર્ષથી વધારેની સજા પડી તે જ દિવસથી તે બેઠક પર તેઓ ગેરલાયક ઠરે અને એ જગ્યા ખાલી પડી ગણાય. તેવામાં ભગવાન બારડની રજૂઆતો કોર્ટે સ્વીકારવી જોઈએ નહીં. ભગવાન બારડે પોતાની અરજીમાં વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકારવાની સાથે-સાથે તાલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીને પણ પડકારી હતી.