સલમાન ખાનની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની અભિનેત્રીએ બિશ્નોઈ સમાજ સામે નોંધાવી ફરિયાદ, જાણો વિગત
મુંબઈઃ સુરજ બડજાત્યા નિર્મિત અને સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની એભિનેત્રી કુનિકા સદાનંદે બિશ્નોઈ સમાજ સામે ફરિયાદ નોંધાવી છે. કુનિકાને બિશ્નોઈ સમાજ તરફથી મોતની ધમકી મળ્યાં બાદ તેણે આ પગલું લીધું હતું.
20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા મલ્યા બાદ સલમાન ખાનને ગત શનિવારે કોર્ટ જામીન મંજૂર કર્યા હતા. સલમાનને સજા સંભળાવવામાં આવ્યા બાદ બોલીવુડની અનેક સેલિબ્રિટીએ તેને સાથ આપ્યો હતો અને ખુલીને સલમાનના સપોર્ટમાં આવ્યા હતા.
કાળિયાર શિકાર કેસમાં સલમાનને સજા થયા બાદ સર્જાયેલા ઘટનાક્રમ અંગે એક ટીવી શોમાં ડિબેટ કરતી વખતે કુનિકાએ બિશ્નોઈ સમાજ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈ બિશ્નોઈ સમાજે પણ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
તસવીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.
કુનિકાના આ નિવેદન બાદ તેના પર ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા હતા. તેણે કહ્યું કે, સંતોષ બિશ્નોઈ નામના વ્યક્તિએ ફોન કર્યો અને મને મારા નિવેદન પર માફી માંગવાનું કહ્યું. મેં તેમની વાત માની લીધી અને માફી પણ માંગી પરંતુ તે બાદ પણ ધમકી ભર્યા ફોન આવવાના બંધ નથી થયા. જેના કારણે મેં મુંબઈની ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મોતની ધમકી મળ્યા બાદ તેણે ફેસબુક પર લખ્યું કે, “ભાઈઓ જ્યારે પ્રેસને મારી તસવીર આપી રહ્યા છો તો જરા આમાંથી સારી આપજો. યાદ રાખજો, મને અપશબ્દ કે ચારિત્રના લાંછનનો ડર નથી લાગતો. હું કોણ છું અને કેવી છું તે મારી નજીકના લોકો જાણે છે. તમારા કેરેકટર સર્ટિફિકેટની મને જરૂર નથી. આ શબ્દોનો પહેલા તમારા પરિવાર પર પ્રયોગ કરી જોજો. ફૌજીની દીકરી છું, ડરતી નથી. કાનૂની ઈજ્જત કરું છું અને જોધપુર મને ખૂબ ગમે છે.”
કુનિકા સદાનંદ લાલે બિશ્નોઈ સમાજ અંગે કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ સમાજની ભાવનાને ઠેસ પહોંચી હતી. કુનિકાએ કહ્યું હતું કે, આ સમગ્ર ઘટના પાછળ બિશ્નોઈ સમાજ જવાબદાર છે. બિશ્નોઈ સમાજ ખુદ શિકાર કરે છે. સલમાનને સજા આપવાના બદલે બિશ્નોઈ સમાજે તેને એક ઉદાહરણ તરીકે લેવું જોઈએ અને સલમાનના જામીનનો વિરોધ ન કરવો જોઈએ.