જ્યારથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરે છે તે સમાચાર આવ્યા હતા ત્યારથી ચાહકોને તેમની કેમેસ્ટ્રી પસંદ કરતા આવ્યા છે. લોકો તેમના લગ્નની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આલિયા આખરે કપૂર ખાનદાનમાં પગ મુકવા જઈ રહી છે. જો કે, આ દિવસની રાહ અન્ય એક વ્યક્તિને પણ હતી, જેને રણબીરને ઘોડા પર ચડતો (લગ્ન કરતો) જોવાની ખૂબ ઈચ્છા હતી. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રણબીર કપૂરના પિતા અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર હતા.


ઋષિ કપૂરની આ ઈચ્છાની વાત તેમના પત્ની અને અભિનેત્રી નીતુ કપૂરે પોતે જ કહી હતી. નીતુ કપૂરે કહ્યું હતું કે, રણબીરને તેના લગ્નના દિવસે પેશાવરી પરંપરામાં એક પન્ના અને એક બ્રોચ સાથે ઘોડી પર સવારી કરતા જોવો હતો. તે (ઋષિ ) કહેતા, 'કોઈ દિવસ મારે મારા દીકરાને ઘોડા પર ચઢતાં જોવો છે. તે તેના વિશે ખૂબ જ લાગણીશીલ હતા. આ સિવાય નીતુ કપૂરે પોતાની એક ઈચ્છા વિશે વધુ ખુલાસો કર્યો અને કહ્યું કે, તે કૃષ્ણા રાજ ઘરને ફરીથી બનેલું જોવા માંગે છે. તે ઈચ્છતા હતા કે એક એપાર્ટમેન્ટ રિદ્ધિમા, એક રણબીર અને એક ઋષિ-નીતુનું હોય. તે ઈચ્છતો હતો કે તે દરરોજ ત્યાં જાય અને જોવે કે સ્થિતિ કેટલી આગળ વધી છે. 


ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહ્યાને લગભગ બે વર્ષ થવા જઈ રહ્યા છે. આટલા લાંબા સમય બાદ પણ ઋષિ કપૂરને ના તો તેમની પત્ની નીતુ કપૂર ભૂલી શક્યાં છે અને ના તો તેમનો પુત્ર રણબીર કપૂર. હાલમાં જ રણબીર કપૂરના ફોનનું વોલપેપર પણ કેમેરામાં કેદ થયું હતું, જેના પર તેણે તેના પિતાનો ફોટો રાખ્યો છે.


આટલું જ નહીં, આલિયા ભટ્ટની સાથે તે તેના નિર્માણાધીન ઘરમાં તેના પિતા ઋષિ કપૂર માટે એક અલગ રૂમ પણ બનાવી રહ્યો છે, આ રુમમાં દરેક નાની-મોટી વસ્તુઓ ઋષિ કપૂરની પસંદગીની હશે. હાલના દિવસોમાં કપૂર પરિવાર તેમના ઘરમાં આવનારી ખુશીઓની તૈયારીમાં વ્યસ્ત છે. અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આરકે હાઉસમાં જીવનભરના સાથી બનવા જઈ રહ્યા છે.