Salman Khan On Shahrukh Khan Mannat: શાહરુખ ખાન પોતાની ફિલ્મી કરિયરની સાથે-સાથે પોતાના આલિશાન બંગલા 'મન્નત'ને લઈ ઘણો ચર્ચામાં રહેતો હોય છે. શાહરુખનો આ બંગલો એક આલિશાન મહેલ જોવો છે અને તે અત્યારે મુંબઈનું ફરવાનું સ્થળ બની ગયો છે. મન્નતની બહાર ફોટો ક્લિક કરાવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે, શાહરુખની પહેલાં આ બંગલો સલમાન ખાન ખરીદવાનો હતો?. ચાલો તમને જણાવીએ મન્નતની અનોખી સ્ટોરી.


સલમાન ખાને ખુદ કર્યો ખુલાસો


હાલમાં જ પત્રકાર ફરીદૂન શહરયારીને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને તેનો ખુલાસો કર્યો છે. સલમાનને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, એવી એક વસ્તુ જણાવો જે શાહરુખ પાસે છે પણ તમારી પાસે નથી અને તમે ઈચ્છો છો કે, તે વસ્તુ તમારી પાસે હોય. આ પ્રશ્નનો જવાબ આપતાં સલમાન ખાને 'મન્નત'નું નામ લીધું હતું. આ પછી સલમાને કહ્યું કે એક સમયે તે આ બંગલાને ખરીદવાનો પણ હતો.


આ કારણે મન્નતને ખરીદી ના શક્યો સલમાન


સલમાન ખાને જણાવ્યું કે, શાહરુખની પહેલાં મન્નતને ખરીદવાની તક તેને મળી હતી અને તે ખરીદવા પણ ઈચ્છતો હતો. જો કે, આ વિશે જ્યારે સલમાને તેના પિતા સલીમ ખાનને જણાવ્યું તો, સલીમ ખાને કહ્યું કે, તું આટલા મોટા ઘરનું શું કરીશ. જે બાદ સલમાને મન્નતને ખરીદવાની ઓફરને ના પાડી દીધી હતી. આ પછી સલામને મજાક કરતાં કહ્યું કે, "ભાઈ, શાહરુખ તું આવડા મોટા ઘરનું શું કરે છે?"


મન્નતની કિંમત છે કરોડોમાં


ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાને મન્નતને વર્ષ 2001માં 13.32 કરોડમાં ખરીદ્યો હતો. તો રિપોર્ટ્સનું માનીએ તો, આજે મન્નત બંગલાની કિંમત 200 કરોડથી પણ વધુ છે. હાલ શાહરુખ ખાન આ આલિશાન મહેલમાં રહે છે. તો સલમાન ખાન મન્નતની પાસે જ આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.