મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રવિવારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. માત્ર 34 વર્ષના રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. રાજપૂતના મૃત્યુથી લોકો સ્તબ્ધ છે ત્યારે હિન્દી ફિલ્મોની એક એક્ટ્રેસે સુશાંતના મોત પર શોક વ્યક્ત કરતી વખતે કરેલી હરકતને કારણે સોશિયલ મીડિયા પર તેની સામે આક્રોશ ફાટી નિકળ્યો છે.


સંજના ગલરાની નામની આ એક્ટ્રેસ એક રાષ્ટ્રીય ચેનલ પર લાઈવ શોમાં સુશાંતને શ્રધ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી. ચેનલનાં એન્કર અન્ય સેલિબ્રિટીને સવાલ પૂછી રહ્યાં હતાં ત્યારે આ એક્ટ્રેસ બેઠી બેઠી પોતાના ચહેરા પર મેક-અપ કરી રહી હતી ને આઈ-લાઈનરથી આઈ-બ્રોઝ સરખી કરી રહી હતી.



ચર્ચા દરમિયાન મેકઅપ કરવાને લઇને લોકોએ તેને ટ્રોલ કરી હતી. સુશાંતના ફેન્સનું કહેવું છે કે તેનામાં જરા પણ સંવેદના નથી. કોઇના મોત પરની ડિબેટમાં તે મેકઅપ કરતી જોવા મળી રહી છે.



ટ્વિટર પર ટ્રોલ થયા બાદ સંજનાએ જવાબ આપ્યો છે. તેણે એક ટ્વિટ કર્યું હતું કે, હેલ્લો, તે કન્ફ્યૂઝનના કારણે થયું છે. હું તૈયાર થઇ રહી હતી. મને ખ્યાલ જ નહોતો કે વીડિયો ઓન એર થઇ ચૂક્યો છે. તમે જોઇ શકો છો કે એન્કરે મારુ નામ પણ લીધું નહોતું. તેમના ઓડિયોમાં ટેકનિકલ ખામી હતી. મહેરબાની કરી અનાવશ્યક મુદ્દો ન બનાવો.

સંજના કન્નડ ફિલ્મોની એક્ટ્રેસ છે. 2017માં તેની એક ફિલ્મ આવી હતી દંડુપાલ્યા-2. આ ફિલ્મમાં સંજનાના કેટલાક બોલ્ડ સીન લીક થયા હતા. બાદમાં તે કલર્સ ટીવીના શો મુઝસે શાદી કરોગેમાં પણ જોવા મળી હતી.