મુંબઇઃ લોકપ્રિય કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં જેઠાલાલની પત્ની દયાબહેનના રોલ માટે ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદીને ઓફ કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ હતી.




આ સિરિયલના સર્જક અસિત મોદીએ અમી ત્રિવેદીનો સંપર્ક સાધ્યો હોવાની વાતો વહેતી થઈ હતી પણ અમી ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો નથી. આ વાત માત્ર ને માત્ર અફવા છે પણ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’મા કામ કરવા મલે તો હું વિચારીશ. મને મારા મિત્રો પણ સતત કહે છે કે આ રોલની ઑફર મળે તો મારે સ્વીકારી લેવી જોઇએ પણ હજુ સુધી આવી કોઇ ઑફર આવી નથી તેથી હવે આવી ઓફર આવે ત્યારે ચોક્કસ વિચારીશ.



‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ સીરિયલમાં દયાબહેનના પાત્રને અભિનેત્રી દિશા વાકાણીએ આગવી શૈલીથી લોકપ્રિય બનાવ્યું હતું. એ પછી દિશા વાકાણીનાં લગ્ન થતાં તેણે આ સીરિયલ છોડી દીધી હતી. દિશા એ પછી એક પુત્રીની માતા બની છે અને એક વાર સીરિયલ છોડ્યા પછી દિશા વાકાણી સિરિયલમાં પાછાં ફર્યાં નથી. એવી વાતો પણ ઊડી હતી કે, દિશાએ અમુક કલાક જ કામ કરવાની શરત મૂકી હતી. એવી વાત પણ વહેતી થઇ હતી કે દિશાએ વધુ રકમ માગી છે અને એ મુદ્દે વાંધો પડતાં દિશા આ સિરિયલમાં પાછી ફરી નથી.