પુરવઠા વિભાગે કર્યો મહત્વપૂર્ણ આદેશ, રેશનિંગ દુકાનો પર ડેબિટ-ક્રેડિટકાર્ડ પર મળશે ડિસ્કાઉન્ટ
ગાંધીનગર:પુરવઠા વિભાગે કરેલા આદેશ પ્રમાણે ઇ-ટ્રાન્ઝેક્શનમાં ડેબિટ કાર્ડથી 0.5 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ તથા સર્વિસ ટેક્સ અને તેમજ ક્રેડિટ કાર્ડમાં 1.20 ટકા મર્ચન્ડ ડિસ્કાઉન્ટ તથા સર્વિસ ટેક્સનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
વ્યાજબી ભાવના 3 દુકાનદારને દર મહિને 1 હજાર રૂપિયાનાં ઇનામ અપાશે જ્યારે જિલ્લાઓમાં કુલ 660 ગ્રાહકને 500 રૂપિયાનું ઇનામ મળશે. આ પ્રોત્સાહનનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
ડીમોનિટાઇઝેશન બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇ-ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારવા માટે અપાયેલી સૂચનાના પગલે ગુજરાત સરકાર દ્વારા પણ આ દિશામાં અનેક પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે રાજ્યની વ્યાજબી ભાવની તમામ દુકાનોમાં પીઓએસ મશીન મૂકી લાભાર્થીઓને ઇ-ટ્રાન્ઝેક્શન તરફ વાળવાના પ્રયાસનો વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા વિરોધ કરાતાં આખરે રાજ્ય સરકારે સર્વિસ ટેક્સ અને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ડિસ્કાઉન્ટ અને દુકાનદાર તેમજ ગ્રાહકોને ઇનામની પ્રોત્સાહક યોજનાજાહેર કરવી પડી છે.
ઉપરાંત દુકાનદારોને પ્રોત્સાહન માટે જે દુકાનમાં મહિનામાં સૌથી વધુ ઇ-ટ્રાન્ઝેક્શન થયા હશે તેવા 3 દુકાનદારને માસિક રૂ. 1 હજારનું ઇનામ અપાશે. જ્યારે રેશનકાર્ડ ધારકો પણ ઇ-ટ્રાન્ઝેક્શન તરફ વળે તે માટે દરેક જિલ્લામાં 20 ગ્રાહક રેન્ડમાઇઝેશન પદ્ધતિથી પસંદ કરી આવા 660 ગ્રાહકને દર મહિને 500 રૂપિયાનું ઇનામ અપાશે.