પાટીદારોમાંથી વધારે કેબિનેટ પ્રધાન બનાવાયા હોવાનો મુદ્દો આગળ કરી કોળી સમાજ કેટલા ધારાસભ્યોને પ્રધાન બનાવવા માગ કરશે ? જાણો વિગત
બીજી તરફ કોળી સમાજ પણ આ મામલે આર યા પારની લડાઈના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોળી સમાજના આગેવાનોએ પરષોતમ સોલંકી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પરષોત્તમ સોલંકીએ આગેવાનોને કહ્યું છે કે, પોતે દોઢ મહિનાનો સમય આપ્યો છે અને તે પહેલાં કઇં પણ કરવું નહીં.
કોળી આગેવાનો એવી દલીલ કરી રહ્યા છે કે, પાટીદારો કરતાંય કોળી મતદારોની સંખ્યા વધુ છે. પાટીદારોના બધા મળીને 45 ધારાસભ્યો છે અને 6 કેબિનેટ મંત્રી છે. આ તરફ કોળ સમાજમાંથી એક જ મંત્રી પરષોત્તમ સોલંકી છે. સોલંકી પણ સિનિયર હોવા છતાંય સારૂં ખાતુ આપવા ભાજપ તૈયાર નથી.
ડિસેમ્બરના અંતમાં ભાજપ સરકારના મંત્રીમંડળની રચના થઇ હતી. એ વાતને આજે દોઢ મહિનો વિતવા આવ્યો છે. હવે પરષોતમ સોલંકીએ આપેલું અલ્ટીમેટમ કયારે પૂર્ણ થાય તેની કોળી આગેવાનો રાહ જોઇને બેઠાં છે. હવે ખુદ પરષોતમ સોલંકીની લીલીઝંડી મળે તેની રાહ જોવાઇ રહી છે.
કોળી આગેવાનોએ આ વાત માનીને હાલ પૂરતો યુધ્ધવિરામ કર્યો છે પણ ભાજપ હાઈકમાન્ડ નહીં માને તો તેની સામે મોરચો માંડવાની કાળી સમાજની તૈયારી છે તેવા અહેવાલ છે. કોળ સમાજ માત્ર સોલંકીને જ સારૂં ખાતું આપવાની માંગ નથી કરી રહ્યો પણ કોળી સમાજનાં પાંચ ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી રહ્યો છે.
આ રીતે ભાજપે એક કરોડ કોળી મતદારોને તમાચો માર્યો છે. તેના વિરોધમાં હવે એક નહીં, બલ્કે પાંચ કોળી ધારાસભ્યોને મંત્રીપદ આપવા કોળી સમાજે માંગ ઉઠાવવા તૈયારીઓ કરી છે તેવું ગુજરાતના ટોચના દૈનિકના અહેવાલમાં જણાવાયું છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં જ કોળી સંમેલન બોલાવવા આયોજન ઘડાઇ રહ્યુ છે.
ગાંધીનગરઃ વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોતમ સોલંકી ભાજપ હાઇકમાન્ડથી નારાજ છે. મંત્રીમંડળમાં સારું ખાતું આપવાની માંગ પર અડગ સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનું એલ્ટીમેટમ આપ્યું છે. આ સમય મર્યાદામાં માંગણી નહીં સંતોષાય તો ભાજપ સામે બગાવત કરવાના મૂડમાં છે.