પાટીદારોને OBCમાં સમાવી અનામત આપવા માટે ઉઠાવાયું મહત્વનું કદમ, જાણો વિગત
એજન્સીઓને સર્વેની કામગીરી અપાયા પછી આ એજન્સીઓ પાટીદાર સહિતની સવર્ણ જ્ઞાતિઓ, તેના જૂથ, કુંટુબ અને ઘરના સભ્યોની વિગતો મેળવશે. આવી જ્ઞાતિઓમાં પાટીદાર સમાજના વિવિધ જૂથોની અરજીઓનો પણ સમાવેશ કર્યાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે પાટીદારોને અનામત આપવા માટેનું મહત્વનું કદમ માનવામાં આવ્યું રહ્યું છે.
ગાંધીનગરઃ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદારો ઓબીસીમાં સમાવેશ કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી)ની યાદીમાં સમાવેશ થવા માટે બિન અનામત વર્ગની જ્ઞાતિઓ તરફથી રજૂ થયેલી માહિતીને આધારે જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના પંચે ડોર ટુ ડોર સર્વે કરવા એજન્સીઓની શોધખોળ શરૂ કરી છે.
સેક્ટર 19 ખાતે આવેલી અન્ય પછાત વર્ગો માટેના પંચના સચિવે અખબારોમાં આ પ્રકારની જાહેરાત આપી છે. જેમાં પોતાને પ્રાપ્ત થયેલી જ્ઞાતિઓ, તેના જૂથ અને કુટુંબો તેમજ તેના સભ્યોની વિગતોનો અભ્યાસ કરવા આ વિસ્તારની નિષ્ણાંત સંસ્થાઓ પાસેથી આવેદનો મંગાવાયા છે. જેમાં આપેલી વિગતો મુજબ ઓબીસી પંચે અત્યાર સુધીમાં 28 જેટલી જ્ઞાતિ જૂથની 1.50 લાખ વસતિ ધરાવતા કૂટુંબોની વિગતો મેળવી છે.
તેમજ વિગતો મેળવી તેનો અભ્યાસ કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ સૂચવેલી દિશાસૂચનાઓ મુજબ આવા કુટુંબોના પત્રકો તૈયારી કરીને તેમના વસવાટના વિસ્તારોમાં જઈને બધા જ કુટુંબોના ઘરે ઘરે ફરીને સર્વેનું કામ કરવાનું રહે છે. અન્ય પછાત વર્ગો માટેના પંચ પાસે તો આટલા મોટાપાયે સર્વેની કામગીરી માટે વ્યવસ્થા ન હોવાથી સચિવે તેના માટે આ પ્રકારના કાર્યો સાથે સંકળાયેલી એજન્સી પસંદ કરવાનું નક્કી કર્યું છે.
આ એજન્સી નક્કી થઈ ગયા પછી તેઓ પંચની ગાઇડલાઇન મુજબ સર્વે કરીને ચોક્કસ મુદતમાં પોતાનો રિપોર્ટ સોંપશે. નોંધનીય છે કે, ભારત સરકારે રાષ્ટ્રીય ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે. આથી નવી જ્ઞાતિઓ ઉમેરવા કે હયાત જ્ઞાતિઓને કાઢવાની પ્રક્રિયા માત્ર કેન્દ્રીય ઓબીસી આયોગ જ કરી શકશે. આથી રાજ્યના ઓબીસી પંચને સર્વે કરીને ભલામણ કરવાનો જ અધિકાર છે.