ચૂંટણી ટાણે ફરી ધૂણ્યો એન્કાઉન્ટર કેસઃ IPSને ફાયદો, નાના અધિકારીને સજાના મેસેજ વાઈરલ
ગુજરાતમાં સત્તાધારી પક્ષ સોશિયલ મીડિયાના કારણે ચિંતામાં છે ત્યારે શોહરાબુદ્દીન અને તુલસી નકલી એન્કાઉન્ટર કેસના 38 આરોપીઓમાંથી રાજકીય નેતાઓ અમિત શાહ, ગુલાબચંદ કટારિયા તેમજ આઇપીએસ અધિકારીઓ ડી.જી વણજારા,અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન, એન.કે અમીન, એમ.એન દિનેશ તેમજ અન્ય અધિકારીઓ મળીને 16 જેટલા અધિકારીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ 22 જેટલા ડીવાયએસપી, પી.આઇ સહિતના અધિકારીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા નથી.
ગુજરાત પોલીસના ડીવાયએસપી તેમજ પી.આઇ કક્ષાના અધિકારીઓ કે જેઓ શોહરાબુદ્દીન તેમજ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના આરોપીઓ છે. 22 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સોશિયલ મીડિયાના કેમ્પેઇનમાં જોડાયા છે. પોતાની સાથે અન્યાય થઇ રહ્યો હોવાનું તેઓ રટણ કરી રહ્યા છે. મુદ્દે સરકારમાં અને કેસ સાથે સંકળાયેલા લોકોમાં ફરીથી ફફડાટ વ્યાપ્યો છે.
આ ઉપરાંત એન્કાઉન્ટરના કેસ મુંબઇ ચાલતા હોવાથી નાના અધિકારીઓમાં રોષની લાગણી પ્રવર્તિ છે.જેના કારણે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે, અમારે કોર્ટની કાર્યવાહી માટે વારંવાર મુંબઇ જવું પડે છે તે અમને આર્થિક રીતે પોસાય તેમ નથી એટલે કેસ ગુજરાતમાં લાવવા જોઇએ. ખરેખર કાવતરું કરનાર અને ગુનામાં મહત્વનો ભાગ ભજવનાર મોટા લોકો છૂટી ગયા છે જ્યારે અમે તો સૂચનાનું પાલન કર્યું છે છતાં અમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ ચાલી રહી છે તે અયોગ્ય છે.
અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે લોકો અનેક નવા નવા મુદ્દા સોશિયલ મીડિયામાં ચગાવી રહ્યા છે. ગુજરાતમાં થયેલ નકલી એન્કાઉન્ટરનો એક એવો મુદ્દે છે જેની હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. નકલી એન્કાઉન્ટર કેસમાં રાજકીય નેતાઓ અને આઈપીએસ અધિકારીઓને ફાયદો થયો છે જ્યારે નાના અધિકારીઓને બલીનો બકરો બનાવવાનો તખ્તો ઘડાયો હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે.