માસ્ટર પ્લાન: રાહુલ ગાંધીના સુરત પ્રવાસના એક દિવસ પહેલાં જ પહોંચી જશે અમિત શાહ
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સુરતમાં રાજકીય નેતાઓની અવરજવર તેજ બની છે. આ વખતની ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષો માટે આબરૂનો પ્રશ્ન બની ચૂકી છે. ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ સત્તા મેળવવા મરણિયો થયો છે. મતદાન અગાઉ મતદારોનું મન જીતવા, મતદારોને પોતાની તરફ વાળવા બંને પક્ષે રાજકીય તડજોડ શરૃ થઇ ચૂકી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 3 નવેમ્બરે સુરત આવી રહ્યાં છે. આ પહેલાં એક દિવસ અગાઉ જ અમીત શાહ સુરત આવી રહ્યાં હોય શહેર ભાજપમાં રાજકીય સળવળાટ તેજ બન્યો છે. 2 નવેમ્બરના ગુરુવારે શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં શહેર ભાજપના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો સાથે મોટી સંકલન બેઠક યોજાશે. આ ઉપરાંત સંભવત પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓને શાહ સંબોધન કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ અમીત શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં બે બેઠક યોજાશે. પ્રથમ બેઠક પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો સાથે મળશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ ઉપર પ્રકાશ પાડવામાં આવશે. બીજી બેઠક સંભવિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મળશે.
આ બેઠકમાં ભાજપના વોર્ડ પ્રમુખથી માંડી વોર્ડ કારોબારી સહિત સક્રિય કાર્યકરોને ઉપસ્થિત રહેવા આયોજન થઇ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠકમાં કાર્યકરોને ચૂંટણીલક્ષી પાનો ચઢાવશે, એવું ભાજપના અંતરંગ વર્તુળોનું કહેવું છે.
આ તડજોડ વચ્ચે આગામી સપ્તાહે બે મોટા રાજકીય નેતાઓનો સુરત પ્રવાસ ગોઠવાયો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી તા. ૩જી નવેમ્બરે સુરત આવી રહ્યાં છે. રાહુલ ગાંધી પાટીદાર વિસ્તારમાં સભા ગજવશે. આ કાર્યક્રમના બરાબર એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનો સુરત પ્રવાસ નક્કી થયો છે. શાહના સુરત પ્રવાસને લઇને ભાજપમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે.
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર ગઈ છે. આ ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવા જઇ રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થનારા પ્રથમ ચરણના મતદાન ઉપર સૌની મીટ મંડાઇ છે. પાટીદાર ફેક્ટર અને જીએસટી ઇફેક્ટને લઇને ભીંસમાં મુકાયેલા ભાજપના કાર્યકરોને રાજકીય પાનો ચઢાવવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનો સુરત પ્રવાસ નક્કી થયો છે.