જીતુ વાઘાણી સામે રવિવારે કારડિયા રાજપૂતોએ કેમ બોલાવ્યું મહાસંમેલન?
અમદાવાદ: ભાજપની હાલત એક સાંઘો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. ત્યારે પાટીદાર અનામતની માગણી કરતાં પાટીદારો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વિરોધ કરતાં હતાં. હવે ગુજરાત કારડિયા રાજપુત સમાજે પણ જીતુ વાઘાણી સામે મોરચો માંડવાનું એલાન કરી દીધું છે. જેના ભાગરૂપે 15 ઓક્ટોબરે ભાવનગરમાં કારડિયા રાજપુતનું રાજ્યવ્યાપી સંમેલન પણ બોલાવવામાં આવ્યું છે.
આ મામલે બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીએ જણાવ્યું હતું કે જમીન પચાવી પાડવાની જીતુ વાઘાણીની માગણીને નહીં સ્વિકારતા મારા સહિત ગામના લોકો પર ખોટા કેસ કરવાની શરૂઆત થઇ અને જેમ હું મોટો ગુનેગાર હોઉં તેમ મારા ઘરના દરવાજા તોડી મારા પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો. આ મામલે આગામી 15 ઓક્ટોબરે રાજપૂતોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે.
આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં કારડિયા રાજપુતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કારડિયા રાજપુતોએ જીતુ વાઘાણી સાથે લડી લેવાનું નક્કી કર્યુ છે. જેની પહેલી શરૂઆત ભુજથી થઈ હતી. ભુજના રાજપુત સમાજે ભુજમાં રેલી કાઢી કલેક્ટરરને આવેદનપત્ર આપ્યું હતું. હવે 15 ઓક્ટોબરે મહાસંમેલન ભાવનગરમાં બોલાવવામાં આવ્યું છે.
ત્યાર બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. દાનસંગની તરકેણમાં રસ્તા ઉપર ઉતરી આવેલા કારડિયા રાજપુત અને પાટીદારો સામે પણ પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.
ભાવનગર શીપ બ્રેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના ભાગીદારના ફાયદા માટે ભાવનગરના બુધેલ ગામની ગૌચર જમીન મેળવવા માટે બુધેલના સરપંચ દાનસંગ મોરી ઉપર દબાણ કર્યુ હતું. જે મુદ્દે ઘર્ષણ થયું હતું. બુધેલ ગામના કારડિયા રાજપુતની વસ્તી ઓછી હોવા છતાં ગામના પાટીદારના મતે ચૂંટણી જીતતા દાનસંગ સામે વિવિધ પ્રકારના કેસો કરવાની જીતુ વાઘાણીએ શરૂઆત કરી હતી તેવો તેમની ઉપર આરોપ છે.