રાજપીપળાઃ એક તરફી પ્રેમીથી કંટાળી યુવતીએ નદીમાં ઝંપલાવ્યું, પરિવારે શું કરી માગ?
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવાન સાહબાઝ આ રેશમાના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને અવારનવાર તેણીને હેરાન પરેશાન કરતો હતો. જેનાથી યુવતી ત્રસ્ત હતી, પરંતુ ડરના કારણે કોઈને કહી શકતી ન હતી અને આક્ષેપ કર્યો છે કે, એકતરફી પ્રેમમાં અંધ યુવાને રેશ્માને નદી પાસે લઈ જઈને ધક્કો મારી હત્યા કરી છે.
પોલીસે મામલાની ગંભીરતા જોતા યુવતીની લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજપીપલા સરકારી દવાખાને લાવતા જ યુવતી ના પરિવારજનોએ ભારે હલ્લો મચાવેલ તેમજ આરોપી યુવાનને જાહેરમાં લાવવાની ઉગ્ર માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. દરમ્યાન યુવતીના પરિવારજનોએ પોલીસ સાથે ભારે શાબ્દિક ટપાટપી કરી હતી અને મામલાની ગંભીર પરિસ્થિતિ જોતા મોટો પોલીસ કાફલો રાજપીપળામાં ખડકી દેવાયો છે.
રાજપીપળાઃ એકતરફી પ્રેમમાં યુવાનની હેરાનગતિ વધતા ત્રસ્ત યુવતીએ મોડી રાત્રે કરજણ નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી કેતા ભારે ચકચાર જાગી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનોએ આરોપી યુવકને જાહેરમાં લાવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
રાજપીપળાના એક ખાનગી દવાખાનામાં નોકરી કરતી યુવતી રેશમાબેન રોહિતનાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાન સાહબાઝ નકુમની હેરાનગતિથી ત્રસ્ત બનેલી યુવતીએ ગત મોડી રાત્રે રાજપીપળાની કરજણ નદીમાં ઝંપલાવ્યું હતું. યુવતીની ભારે શોધખોળ બાદ લાશ મળી આવી છે. બીજી તરફ યુવાન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનના ત્રાસથી ત્રસ્ત યુવતીના મોત પાછળ પ્રાથમિક કારણ આત્મહત્યા માનીને પોલીસે આરોપી સામે આત્મહત્યાની દુષપ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરી છે, પરંતુ યુવતીના પરિવારજનોએ હત્યાના આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.