રાજકોટ-ટંકારા હાઇવે પર અકસ્માત, કારમાં આગલ લાગતા 2 જીવતા સળગ્યા, કુલ 3 મોત
રાજકોટ: ટંકારા પાસે મોરબી - રાજકોટ હાઈવે રોડ ઉપર શનિવારે સવારે ટ્રક - મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થતા ૩ના મોત થયા હતા. આ અકસ્માતમાં કારમાં આગ લાગતા બે વ્યકિત જીવતા ભુંજાઈ ગયા હતા જે રાજકોટના ગરાસીયા પરિવારના માતા-પુત્ર હોવાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો મુજબ આજે ટંકારા પાસે રાજકોટથી કપાસીયા ભરીને આવતા ટ્રકે આગળ જતા મોટર સાયકલ સવારને અડફેટે લેતા ટ્રક રોંગ સાઈડમાં ધસી ગયો હતો અને સામેથી મોરબી તરફથી આવતી વેગનઆર કાર સાથે અથડાયો હતો. આ ટ્રીપલ અકસ્માત બાદ કારમાં આગ ભભૂકતા કારમાં બેઠેલા બે વ્યકિત જીવતા ભુંજાય ગયા હતા તેમજ બાઈક સવાર ગોવિંદભાઈ પેથાભાઈ રબારી (રહે. હળમતીયા)ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ટંકારા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.
આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. મોરબીથી મીની ફાઇટર બોલાવી તથા ટંકારાના પાણીના ટેન્કર દ્વારા આગ ઠારવામાં આવી હતી.
ટંકારાના પીએસઆઈ ઝાલા તથા સ્ટાફે રાજકોટ રહેતા જયપાલસિંહ જાડેજાના સગા-સંબંધીઓને લાશ અને કારની ઓળખ માટે ટંકારા બોલાવ્યા છે. કારમા સળગી ગયેલ બન્ને લાશની ઓળખ મળે તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. કારમાંથી બંગડી મળી છે. આ બંગડીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલી બે વ્યકિતઓ જીવતી ભુંજાય જતા ટંકારા પોલીસને આ બન્ને મૃતદેહના અવશેષો બહાર કાઢીને પોટલા બાંધવા પડયા હતા.
ટંકારા પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર ભુજની હોવાનું ખુલ્યુ હતું. જો કે આ કાર રાજકોટના ગરાસીયા પરિવારને વેચી દીધી હોવાની જાણ થતાં પોલીસે રાજકોટમાં રહેતા ગરાસીયા પરિવારનો સંપર્ક કર્યો હતો. રાજકોટના સત્યસાઈ હોસ્પીટલ રોડ પર આવેલ પવનપાર્કમાં રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪) તથા તેના માતા કિરણબા મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.પ૮) આ વેગનઆર કારમાં તેના વતન માળીયામિંયાણાના મોટા દહીંસરા ગામે લગ્નમાં ગયા હતા. પોલીસે મોટા દહીંસરા ખાતે તપાસ કરતા રાજકોટ રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેના માતા સાથે આજે સવારે રાજકોટ જવા નિકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને માતા-પુત્રનો આજ બપોર સુધી કોઈ સંપર્ક થયો ન હોય ટંકારા પાસે અકસ્માતમાં સળગી ઉઠેલ કારમાં આ બન્ને માતા-પુત્રનું જ મોત થયુ હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે.