હાર્દિક સાથે સમી પોલીસ સ્ટેશનમાં શું કરાયું? હાર્દિકે આખો દિવસ કેમ કશું ખાધું નહીં? જજના બંગલાની બહાર દિનેશે શું કહ્યું?
પાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલની આણંદ અને દિનેશ બાભણીયાની રાજકોટથી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. પાટણ પોલીસે તેમને ગૂપચૂપ મંગળવારે રાત્રે જજના ઘરે રજૂ કરીને રીમાન્ડ મેળવ્યા હતા.
હાર્દિક અને દિનેશ બાંભણીયાને આખો દિવસ સમી પોલીસ સ્ટેશનમાં રખાયા પછી રાત્રે 9 વાગ્યે બંનેને ચૂપચાપ પાટણ લાવી જજ વી.કે.સોલંકીના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 3 દિવસના એટલે કે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
હાર્દિક તથા દિનેશ બાભણીયાને જજના બંગલામાંથી બહાર આવતાં જ ગાડીમાં બેસાડી દેવાયા હતા અને કોઈને પણ નજીક જવા દેવાયા ન હતા. આ દરમિયાન હાર્દિક પટેલ ચૂપ બેસી રહ્યો હતો જ્યારે દિનેશ બાંભણીયાએ ગાડીમાં બેસ્યા પછી ‘આ પાટીદાર આંદોલન તોડવાનો હિન પ્રયાસ છે’ તેટલા શબ્દો કહ્યા હતા.
આ પહેલાં સોમવારે રાત્રે બંનેની ધરપકડ કરીને બંનેને સમી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. એએસપી પાર્થરાજસિંહ ગોહિલની નિગરાની હેઠળ બંનેને રાખવામાં આવ્યા હતા અને તપાસ અધિકારી જે.બી.પંડીત દ્વારા પૂછપરછ કરાઇ હતી. હાર્દિકને પાટણ ખાતે ન લાવતાં સમી ખાતે રાખવામાં આવતાં અચરજ સર્જાયું હતું.
એએસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યા મુજબ તપાસ અધિકારી દ્વારા રાત્રે અને દિવસે હાર્દિક પટેલની પૂછપરછ કરાઇ હતી. જોકે તે ઝાઝુ બોલ્યો ન હતો. હજુ ઘણી વિગતો જાણવાની બાકી છે. સમી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે હાર્દીકને આઠમનો ઉપવાસ હોઇ આખો દિવસ કશું ખાધું ન હતું અને સાંજે માત્ર બે કેળાં ખાધાં હતાં.