પાલનપુરઃ દારૂ પીને ટેન્કર ચાલકે 12 લોકોને કચડી નાંખ્યા, છના મોતથી અરેરાટી

ઓઇલ ભરેલું જીજે 12 એવાય 0358 ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જતા સીધો જ હોટેલ સવેરાના પાર્કિંગમાં ધસી ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ વાહનોમાં બેઠેલા અને વાહનોની નજીક ઉભેલા 12 જણા કચડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે જ છનાં મોત નીપજ્યા હતા.
જ્યારે છ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. આ ઘાયલોમાં રાવળ ભરતભાઈ કાળુભાઇ (ઉ.વ.38), મનોજભાઈ દેવડા (ઉ.વ.40, રહે.માલગઢ, ડીસા) અને જસવંતભાઈ પુનમભાઈ પટેલ (ઉ.વ.65, રહે. અમીરગઢ)નો સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ટેન્કર ચાલક રોષ ઉતારી માર મારી પોલીસને સોંપ્યો હતો. રાત્રે ઘાયલોની મરણચીસો અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
ગઈ કાલે રાત્રે 8 વાગે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી 2 કાર, 2 રિક્ષાઓ અને કેટલાક બાઇકોનો ખુદડો બોલાવી 12 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 6નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 6 જણને ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં દિલીપભાઈ છગનભાઇ પટેલ (રહે . અમીરગઢ, ઉ.વ.42.), ભરતભાઇ પટેલ (રહે.અમીરગઢ, ઉ.વ.40 ), રાહુલભાઈ દિલીપભાઈ જોશી (રહે. પાલનપુર બ્રાહ્મણવાસ, ઉ.વ.22), સુરેશભાઈ શામજીભાઈ પટેલ (રહે. અમીરગઢ, ઉ.વ.42), પ્રકાશભાઈ ઈશ્વરજી માળી (રહે. ડીસા, ઉ.વ 32 ) અને વિઠ્ઠલભાઈ પટેલ (રહે. અમીરગઢ)નું મોત થયું છે.
આ અકસ્માતના સમાચાર મળતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છમાંથી પાંચ અમીરગઢના વતની છે. જ્યારે અન્ય એક ડીસાનો વતની છે. જ્યારે છ લોકોને આ અકસ્માતમાં ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેન્કર ચાલકે દારૂના નશામાં બેફામ ટેન્કર ચલાવીને 12 લોકોને કચડી નાંખતાં છના કમકમાપૂર્ણ મોત થયા છે. કાર સહિત ચાર-ચાર વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જતા છ લોકોના મોતથી સમગ્ર પાલનપુરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બેફામ બનેલા ટેન્કરે કાર સહિતના વાહનોને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.