અમદાવાદઃ શહેરમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ માટે થોડા ચિંતાના સમાચાર સામે આવ્યા છે. એક ટોચના અખબારના અહેવાલ પ્રમાણે, શહેરના 23 લોકોને કોરોનાની સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ફરીથી કોરોનાના લક્ષણ દેખાયા છે. એટલું જ નહીં, તમામનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


અખબારના અહેવાલ પ્રમાણે, જીવરાજ પાર્કમાં રહેતી 32 વર્ષીય યુવતીનો જૂનના પહેલા અઠવાડિયામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર પછી તે સ્વસ્થ થતાં તેને રજા આપી ઘરે હોમ ક્વૉરન્ટીન થવા સૂચના આપી હતી. જેથી યુવતી પરિવાર સાથે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન થઈ હતી. જોકે 28 જૂને યુવતીને ફરીથી તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. યુવતીએ પરિવારને આ અંગે જાણ કરતા ફરીથી ટેસ્ટ કરાવાયો હતો. જે પોઝિટિવ આવ્યો છે. હાલમાં યુવતી ખાનગી હોસ્પિટલમાં છે. આ સિવાય અન્ય દર્દીઓ અલગ અલગ વિસ્તારના છે.