અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મણિનગર ખાતે આવેલા મુક્તજીવન સ્વામિનારાયણ સેવાશ્રમ મંદિરનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ મંદિરના 11 સંતોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


અમદાવાદ કોર્પોરેશન દ્વારા 9 સ્થળોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. 15 અલગ અલગ સોસાયટીઓને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવી છે, ત્યારે પૂર્વ ઝોનના લોકોએ વધુ ચેતી જવાની આવશ્યકતા છે. પૂર્વ ઝોનમાંથી પાંચ સોસાયટીઓ, જેમાં નિકોલની કર્ણાવતી પાર્ક સોસાયટી, વસ્ત્રાલની કેન્સાસ દેવસ્ય અને લવકુશ હાઇટ્સ, રામોલ હાથીજણ વિસ્તારમાં આવેલી જયમિત્ર સોસાયટી અને અર્બુદાનગર વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવી છે.

પશ્ચિમ ઝોનમાં વાસણા વિસ્તારની શેફાલી એપાર્ટમેન્ટના 108 મકાનના 380 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં મુક્તજીવન સ્વામિનારાયણ સેવાઆશ્રમ મંદિર અને નારોલમાં આકૃતી ટાઉનશીપના 40 મકાનોના 180 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવાયા છે.