ગાંધીનગરની હદમાં આવતાં અગોરા મોલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 26 વર્ષીય પરિણીતાનું તેના જ ઘરમાં ગળા પર ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. 2 વર્ષની પુત્રીના માતાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અડાલજ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, સુઘડમાં આવેલ અગોરા મોલની પાસે એટલાન્ટિસ પાર્કમાં H બ્લોકના 202 ફ્લેટમાં રહેતી 26 વર્ષીય પરિણીતા ગુંજન શર્માની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે ગૃહિણી ગુંજન તેના ડ્રોઈંગ રૂમમાં હતી અને તેની પુત્રી બેડરૂમમાં સુઈ રહી હતી. જ્યારે તેનો પતિ સુધીર શર્મા પાલડીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં નર્સિંગ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. આ ઘટના બની ત્યારે તે ઓફિસમાં પોતાની ડ્યુટી કરી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, તેના પતિનો ઓફિસ ટાઈમિંગ સવારે 7.45થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. જેથી સાંજે જ્યારે તે ઓફિસથી પરત ફર્યો ત્યારે પોતાના ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો જોયો હતો. ત્યાર બાદ તેણે દરવાજાને ધક્કો મારીનો ખોલ્યો તો સામેજ તેની પત્ની લોહીના ખાબોચિયામાં પડી હતી. ત્યાર બાદ તેણે બૂમાબૂમ કરી મુકી હતી જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.

અડાલજ પોલીસે જણાવ્યું હતું કે, મહિલાને તેના ગળા પર જમણી તરફ ચાર ઈંચ ઊંડો અને ચાર ઈંચ લાંબો ઘા મારવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, ઘરમાં કોઈ જ સામાન અસ્ત-વ્યસ્ત પડ્યો ન હતો જ્યારે મહિલાનો પાડોશીઓએ પણ કોઈ અવાજ સાંભળ્યો નહતો. તેમજ મહિલાના શરીર પર ક્યાંય સંઘર્ષના નિશાન પણ જોવા મળ નહતાં.