અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે 143મી રથયાત્રાને લઈને સામે આવ્યા મોટા સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jun 2020 12:14 PM (IST)
રથયાત્રા નીકળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ ગુપ્તચર વિભાગ અને સ્ટેટ ગુપ્તચર વિભાગ પાસે રીવ્યુ મંગાવ્યો છે. સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બીના રીવ્યુ આવ્યા બાદ સરકાર રથયાત્રા નીકળવા અંગે નજીકના દિવસોમાં નિર્ણય લેવાઈ શકે છે

અમદાવાદ: કોરોના વાયરસના કહેર વચ્ચે 143મી રથયાત્રાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રથયાત્રા નીકળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ ગુપ્તચર વિભાગ અને સ્ટેટ ગુપ્તચર વિભાગ પાસે રીવ્યુ મંગાવ્યો છે. સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બીના રીવ્યુ આવ્યા બાદ સરકાર રથયાત્રા નીકળવા અંગે નજીકના દિવસોમાં નિર્ણય લેવાઈ શકે છે. રથયાત્રા નીકળવા અંગે સ્ટેટ હોમડિપાર્ટમેન્ટની એક કમિટી નક્કી કરશે જેમાં મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા તથા શહેર પોલીસ કમિશ્નર અને કલેક્ટર સહિતના લોકોની હાઈપાવર કમિટીનો નિર્ણય અંતિમ ગણાશે. કેન્દ્ર સરકારની પણ સલાહ અને માર્ગદર્શન રથયાત્રા નીકળવા અંગે નિર્ણય લેવાશે. જોકે, રથયાત્રાને લઈ મંદિર દ્વારા પુરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથના રંગરોગાન અને મંદિર પરિશ્રમ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, હાલ મંદિર દ્વારા તમામ તૈયારીઓ થઈ રહી છે. સરકાર સાથે બેઠકોનો દોર પણ ચાલુ છે. સરકાર તરફથી છેલ્લો જે નિર્ણય કરાશે તે શિરોમાન્ય રહશે. આ વર્ષે ભગવાન જગન્નાથજી કેસરિયા રંગથી સજ્જ જોવા મળશે. રથયાત્રા નિકળશે કે કેમ તેને લઈને હજુ પણ અસમંજસ જોવા મળી રહ્યું છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ન રીતે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મંદિરમાં સુંદરકાંડ રોજ કરવામાં આવશે. 80થી પણ વધુ દિવસ બાદ આ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે અને ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે, ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની કોઈપણ જાતની અડચણ ના આવે અને સંપન્ન થાય તે હેતુથી સુંદરકાંડની આજથી શરૂઆત કરવામાં આવી છે.