અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે સવારે જગદીશ પંચાલને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, ગઈ કાલે અમદાવાદમાં કોરોનાના 256 કેસ નોંધાયા હતા. તેમજ અમદાવાદમાં કુલ 11097 કેસ નોંધાયા છે. જેમાંથી 4950 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 764 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો ડબ્લિંગ રેટ 15 દિવસ અને અગાઉ 16 દિવસનો હતો. તે હવે વધીને 24.84 દિવસનો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસો સૌથી વધુ અમદાવાદમાં છે. અહીં પણ ડબ્લિંગ રેટ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં આ દર 15 દિવસ હતો, એના પહેલા 13 દિવસ હતો. જે હવે વધીને 25.08 દિવસ થઈ ગયો છે.



કોરોનાના કેસો બમણા થવાના રેટની વાત કરીએ તો આ દર ભારતમાં 13.97 દિવસનો છે. જેની સાપેક્ષમાં ગુજરાતમાં 24.84 દિવસનો છે. રાજ્યના લોકો માટે અન્ય પણ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા બે દિવસથી દર્દીઓના સાજા થવાનો દર પણ વધ્યો છે. ગઈ કાલે રાજ્યમાંથી 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 કેસ નવા નોંધાયા હતા. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 327 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

જ્યારે 26મી મેના રોજ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ વધારો થયો છે.