અમદાવાદ:  સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ જુલાઈથી નવીન જીનેટીક ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટીક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. વર્ષ ૨૦૧૪ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે. જીનેટીક ડિસઓર્ડર જેવી તકલીફ ઘરાવતા અને ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા દર્દીઓ અઠવાડિયામાં દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધીમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે લાભ મેળવી શકશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે ,સમગ્ર દેશમાં સંભવિત ત્રણ કે ચાર નામાંકિત યુનિવર્સિટીઓને બાદ કરતા આ પ્રકારની સુવિધા અન્ય ક્યાંય ઉપલબ્ધ નથી તેમ સીવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.જોષીએ જણાવ્યું છે. વધુમાં રાજ્યમાં આ પ્રકારની સુવિધા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર સરકારી હોસ્પિટલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.આ ઓ.પી.ડી.માં એવા દર્દીઓ આવી શકે જેઓ જિનેટિક રોગથી પીડાતા હોય. ખાસ કરીને ન્યુરો સર્જીકલ અથવા ન્યુરોમેડિકલ દર્દીઓ કે જેમને લકવો હોય, મેન્ટલ રીટાર્ડેશન હોય અથવા જેમને ખેંચ આવતી હોય, હૃદય રોગથી પીડિત દર્દીઓ, કંજેનેટલ એડ્રીનલ હાઇપર પ્લેજિયા અથવા ડિસેમિનેશન ઓફ સેક્સ એટલે કે ઇન્ટરસેક્સથી પીડાતા દર્દીઓ અથવા મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમાં દર્દીને વીકનેસ અથવા એવું કહી શકાય કે કોઈપણ જાતની તકલીફ હોય જેનું કારણ મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમાં ખાસ કરીને વિટામિનની ખામી હોય એવા દર્દીઓને આ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા ડૉ. જોષીએ જણાવ્યું છે.




જીનેટિક ડિસઓર્ડર ક્ષેત્રની કામગીરી સાથે સંકળાયેલા પદ્મશ્રી ડૉ.આઇ.સી.વર્માના કોમ્યુનિટી જિનેટિક જર્નલમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા લેખ પ્રમાણે
દેશમાં પ્રતિ વર્ષ લગભગ,


• ૪.૯૫ લાખ બાળકો જન્મજાત ખોડખાંપણ સાથે, 
•૩.૯૦ લાખ G6PDની ઉણપ સાથે,
•૨૧,૪૦૦ ડાઉન સીન્ડ્રોમ સાથે ,
•૯૦૦૦ બીટા-થેલેસેમિયા ની બીમારીથી,
•૫૨૦૦ સીક્લસેલ એનિમિયાની બીમારીથી, 
૯૭૬૦ એમિનો એસિડ ડિસઓર્ડર સાથે જન્મે છે.
•દેશમાં જન્મજાત  પ્રત્યેક ૧૦૦૦ બાળકમાથી ૬૪.૪ % બાળકો જન્મજાત નાની-મોટી ખોડખાંપણ સાથે જન્મે છે.


•દેશમાં જીનેટિક ડિસઓર્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલ ૩૫ થી વધું સંસ્થાઓમાં કરેલ સર્વે પ્રમાણે ૧ લાખ બાળકોમાંથી ૦.૯% હિમોફિલીયાથી અને ૬ થી ૫૦ જેટલા બાળકો પાર્કિન્સનથી, 
•પ્રતિ ૧૦ હજાર બાળકોમાંથી ૨ થી ૨૦% જેટલા સીક્લસેલ એનિમિયાથી, 
•૧૦ લાખ બાળકોમાંથી ૩-૪% થેલેસેમીયા જેવી બિમારી સાથે જન્મ લેતા જોવા મળ્યા..


પીડિયાટ્રીક મેડિસિન અને ન્યુરો મેડિસિનમાં આવતા દર્દીઓ જે લોકો જીનેટીક રોગોથી પીડાતા હોય અથવા કંજનાટલ હાર્ટ ડીસીસથી પીડાતા હોય એવા વ્યક્તિઓ એના પરિવારજનો  આ ઓપીડીનો લાભ લઈ શકશે .જેના પરિણામે જન્મતા બાળકો માં જીનેટિક રોગ થવાની સંભાવનાઓ ઘટાડી શકાશે. આ ઉપરાંત કેન્સરના એવા દર્દીઓ કે જેમના કુટુંબમાં પણ અન્ય સભ્યોમાં પણ કેન્સરના કિસ્સાઓ જોવા મળે છે તેમના માટે પણ આ જીનેટીક ક્લિનિક એ આવા કેન્સરને દર્દીના કુટુંબમાં આગળ વધતું અટકાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આવા કોઈ પણ દર્દી જ્યારે ડિટેક્ટ થાય ત્યારે તેના પરિવારમાં ભાઈ-બહેન અથવા પેરેન્ટ્સને કોઈ જીનેટીક ડિસઓર્ડર છે કે નહીં એના માટેનું કન્સલ્ટિંગ ત્યાં કરી શકાશે અને આવા જિનેટિક રોગોને આવનારી પેઢીમાં જતા અટકાવવામાં આ ક્લિનિક સિંહ ફાળો આપશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial