અમદાવાદઃ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. ત્યારે દિવાળીના સમયમાં પણ કોરોના વોરિયર્સ ફરજ પર હાજર રહેશે. સિવિલ હોસ્પિટલમાં તમામ સિનિયર તબીબો દ્વારા સ્વેચ્છાએ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમણે જાતે જ દિવાળીની રજાઓ રદ કરી નાંખી છે.


સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબો દિવાળીના પર્વ નિમિત્તે રજા રાખશે નહીં. તેમજ જુનિયર અને રેસિડેન્ટ તબીબોને પણ સ્વેચ્છાએ નિર્ણય કરવા પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે. અલગ અલગ વિભાગના 470 તબીબો દિવાળીમાં કોરોના અને અન્ય રોગચાળા સામે ખડેપગે રહેશે.

રાજ્યમાં કોવિડ-19ના નવા 1020 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 1000થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3763 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,340 એક્ટિવ કેસ છે, જ્યારે 1,64,596 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,272 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,80,699 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 7 લોકોનાં કરૂણ મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 165, સુરત કોર્પોરેશનમાં 160, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટ કોર્પોરેશનમાં 82, મહેસાણામાં 75, ગાંધીનગર કોર્પોરેશનમાં 40, વડોદરામાં 38, સુરતમાં 34, રાજકોટમાં 31, ગાંધીનગરમાં 26, ભરૂચમાં 21, અમદાવાદમાં 20, સાબરકાંઠામાં 20, સુરેન્દ્રનગરમાં 20, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા હતા.