અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે, ત્યારે અમદાવાદના લોકોને રાહત થાય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ એમ.એમ. પ્રભાકરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અમદાવાદમાં કોરોનાની ઘાતકતા ઘટી હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેમણે અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોવાનો દાવો પણ કર્યો છે.


ડો.પ્રભાકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં સિવિલ હોસ્પિટલ પર કેસોનું ભારણ ઘટ્યું છે. તેમજ ગંભીર પ્રકારના કેસોની ઘાતકતા ઘટી છે. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં ઘટાડો થયું હોવાનું પણ જણાવ્યું હતું. અમદાવાદમાં કોરોના વકર્યો પછી ગઈ કાલે સૌથી ઓછા 197 કેસ નોંધાયા છે. ગત એક માસની વાત કરીએ તો ગઈ કાલે છેલ્લા એક મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. તેમજ ગયા અઠવાડિયે અમદાવાદમાં 1527 કુલ કેસ નોંધાયા હતા. તેની સામે 1534 લોકો કોરોનાથી મુક્ત થયા છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો 2087 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેની સામે 2377 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.



જૂન મહિનાની વિગતો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 8733 કેસ નોંધાયા છે. તેની સામે 9050 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, અમદાવાદમાં રિકવરી રેટ ખુબ સારો છે. જેને કારણે ગયા મહિને નોંધાયેલા નવા કેસની સામે વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં કોરાનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ જિલ્લામાં 15થી વધુ લોકોના મોત થયા નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 78 લોકોના મોત થયા છે. તેના આગલા અઠવાડિયે અમદાવાદમાં 132 લોકોના મોત થયા હતા. તેમજ છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં કોરોનાથી કુલ 599 લોકોના મોત થયા છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. જોકે, હવે અમદાવાદમાં મૃત્યુના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.