અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે. એમાં પણ સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં છે, ત્યારે આજથી અમદાવાદમાં કેટલાક કડક નિયમો અમલી બનાવી દેવામાં આવ્યા છે. શહેરમાં આજથી AMTS અને BRTSમાં 50 ટકા ક્ષમતા સાથે મુસાફરોને પ્રવેશ અપાશે. બીજો ડોઝ બાકી હશે તો મુસાફરને બસમાંથી ઉતારી દેવા સુધીના આદેશ આપી દેવામાં આવ્યા છે. 


કોરોનાના વધતા સંક્રમણના પગલે આજથી AMTS અને BRTS માં 50 ટકા ક્ષમતા સાથે મુસાફરોને આજથી પ્રવેશ અપાશે . છેલ્લા 48 કલાકમાં શહેરમાં 2000 થી વધુ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે. જે બાદ આજથી શહેરની 570 AMTS ની અને 250 BRTS ની બસોમાં 50 ટકા ક્ષમતા સાથેના મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે.એટલું જ નહીં જંકશન ઉપર જ મુસાફરે વેકસીનના સર્ટિફિકેટ દર્શાવવાના ફરજિયાત રહેશે. જે પણ મુસાફરે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ બંને ડોઝ નહિ લીધા હોય તેમને પ્રવેશ આપવામાં નહિ આવે અને વિજિલન્સની ટીમો દ્વારા ચાલુ બસમાં તપાસ કરતા વેકસીનનો બીજો ડોઝ બાકી હશે તેમને ચાલુ બસમાંથી ઉતારી દેવા સુધીનો નિર્ણય AMC એ કર્યો છે.


વેકસીનનો બીજો ડોઝ હાલ પણ 5 લાખથી વધુ લોકોને લેવાનો બાકી છે. હાલ સુધી AMC એ વેકસીનેશનને ઝડપી બનાવવા કયા નિર્ણય કર્યા છે તેના ઉપર નજર કરીએ તો


-સ્લમ વિસ્તારમાં વેકસીનના ડોઝ લેનારા નાગરિકોને એક લીટર એડીબલ ઓઈલ
-સપ્ટેમ્બર મહિનામાં લકી ડ્રો અનુસાર 25 વિજેતા નાગરિકોને મોબાઈલ ફોન
-ડિસેમ્બર મહિનામાં એક લકી ડ્રો વિજેતા નાગરિકને આઈફોન


રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 236  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630,  વડોદરા   કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994  કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.