Ahmedabad News: આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બૉર્ડ પરીક્ષા શરૂ થઇ રહી છે, પરીક્ષાના આડે માત્ર એક મહિનાનો સમય બાકી છે, ત્યારે ગુજરાત શિક્ષણ બૉર્ડ ખાસ સુવિધા વિદ્યાર્થીઓ માટે શરૂ કરી રહી છે. આગામી 8મી ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા બૉર્ડના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક હેલ્પલાઇન નંબરની શરૂઆત કરાશે. 


મળતી માહિતી પ્રમાણે, ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબરની સેવા શરૂ કરવામાં આવશે, જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલૉજીસ્ટ મદદરૂપ થશે. બૉર્ડના મૂંઝવતા પ્રશ્નોનું વિદ્યાર્થી-વાલીઓને માટે નિરાકરણ લાવવા બૉર્ડ હેલ્પલાઈન નંબર કરશે શરૂ કરશે. ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષા સંદર્ભે 8 ફેબ્રુઆરીથી હેલ્પલાઈન શરૂ કરાશે. ટૉલ ફ્રી નંબર ‘૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦' પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળશે. આ હેલ્પલાઇન સર્વિસમાં સવારના 10 વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન હેલ્પલાઈનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાઈકોલૉજીસ્ટ માર્ગદર્શન માટે ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 11 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. 


પેપર લીક કરવા પર થશે 10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ, લોકસભામાં રજૂ થયું બિલ, જાણો 


પેપર લીક બિલ આજે 5 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા અને તેની જગ્યાએ બીજા અન્યએ પરીક્ષા આપવા માટે કડક સજા અને દંડની જોગવાઈ છે. જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે. ચાલો જાણીએ કે પેપર લીક અને કોપીના કયા કેસમાં કેટલી સજા અને દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.


દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને નકલની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કાયદા પણ બન્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી. ઘણા રાજ્યોમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષાઓ યોજવી પડી હતી. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં પેપર લીક પર પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું.


પેપર લીક પર થશે 10 વર્ષની સજા 
જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ગુનેગારને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા આપવાના કિસ્સામાં જો કોઈ અન્ય વ્યક્તિ દોષી સાબિત થશે તો 3 થી 5 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. વળી, જો કોઈ સંસ્થા પેપર લીક અને નકલના કેસમાં સંડોવાયેલી હોવાનું જણાશે, તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.


કેમ પડી આ બિલની જરૂર ?
રાજસ્થાન, તેલંગાણા, એમપી, ગુજરાત, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે.


UPSC, NEET અને JEE પરીક્ષા પર પણ લાગુ થશે બિલ 
યુપીએસસી, એસએસસી, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેપર લીક થવા કે નકલ થવાને કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


કોણ કરશે કેસની તપાસ ?
પેપર લીક અને નકલના કેસોની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનર સ્તરના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. સરકારને કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાનો અધિકાર રહેશે. પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.